કોરોનાયોદ્ધા શંકર અને ભારતીની સત્ય ઘટના, જેમણે પ્રેમથી એકબીજાનો સાથ નિભાવીને કોરોના સામેનો જંગ જીતી લીધો.
મારા ફેઈસબુક મેસેન્જર પર એક મેસેજનું નોટિફિકેશન આવ્યું.
મેં મેસેજમાં લખાણ સાથે ફોટો જોયો.
મારૂં મન ખુશ થઈ ગયું.
મેં રીપ્લાય આપ્યો,
'Wah, Congratulations'
સામેથી રીપ્લાય આવ્યો.
''Thanks Bro Aapni Krupa thi'
દિવસ હતો 26 મે, 2020.
રાતના 10:16 મિનિટનો સમય હતો.
આજે ખુબ જ ખુશ હતા Shankar Rajgor અને ભારતી રાજગોર. લવ બર્ડસનું જોડું જ કહી લ્યો. હું તેમને કોરોના યોદ્ધા કહીશ. કારણ કે તેમણે કોરોનાનો જંગ તો જીતી જ લીધો, સાથે પ્રેમપથ પર એકબીજાને સાથ આપીને પણ જીત મેળવી છે. હવે જરા માંડીને વાત કરું.
હું અમદાવાદની Svp hospitalમાં કોરોનાની સારવાર લઈ રહ્યો હતો. કોરોના સારવારની મારી એ નવમી રાત હતી. રાત્રે જમીને હું મોબાઈલ પર મેસેજીસ જોતો હતો. શંકરના મેસેજ પર ધ્યાન ગયું. હું શંકરને ઓળખતો પણ નહોતો. પણ તેને બે ત્રણ મેસેજ કર્યા હતા તો હું મેસેજ વાંચવા લાગ્યો. બપોરે પણ શંકરે મેસેજ કર્યો હતો,
'ભાઈ, થોડો પ્રોબ્લેમમાં છું. તમારાથી મદદ થાય એમ છે ?'
સાંજે પાંચ વાગ્યાની આસપાસનો પણ શંકરનો બીજો એક મેસેજ હતો. જે વાંચીને હું ચોંકી ગ્યો, 'હું કોરોના પોઝિટિવ આવ્યો છું. પણ હજું ઘરે છું. કોઈ આવ્યું નથી.'
રાતના સાડા નવ થવા આવ્યાં હતાં, મેં તુરંત મેસેજથી જવાબ દિધો, 'જો તમને વધુ લક્ષણો નહીં હોય તો ઘરે જ સારવાર થઈ જશે. નહીં તો હોસ્પિટલમાં લઈ જશે. AHMEDABAD MUNICIPAL CORPORATIONના તબીબો જ તમને સામેથી સંપર્ક કરશે.'
શંકરના શબ્દોમાં લાચારી ઉપસી આવી.
'બે દિવસથી કોઈ આવ્યું નથી'
શંકરના જવાબથી હું પણ વિચારમાં પડી ગયો કે, મને હોસ્પિટલમાં આવ્યાને પણ નવ દિવસ પૂરા થવા આવ્યા. એ દરમ્યાન અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા વધી ચૂક્યા છે. હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે જગ્યા રહી નથી. નવા ટેસ્ટ કરાવવા પણ લોકોને રાહ જોવી પડે છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ જો વધુ લક્ષણો ન હોય તો ઘરે જ સારવાર થઈ શકે તેવી ગાઈડલાઈન પણ જાહેર થઈ ચૂકી છે. હવે લોકો નવી ગાઈડલાઈન સમજી શકે એ માટે સમય તો લાગવાનો જ છે. હું અને શંકર કદાચ એ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતાં. મને લાગ્યું હવે 'આપ મદદ જ જિંદાબાદ' કરવાનો સમય છે. મન મજબૂત કરી મેં જવાબ આપ્યો,
'શંકર, અત્યારે કોઈ શારીરિક તકલીફ છે ????
તો હું તમને કોઈ ડોકટર સજેસ્ટ કરી શકું !! '
શંકરના શબ્દોમાં મજબૂરી બોલવા લાગી,
'મારી બોડીમાં થોડી પણ શક્તિ નથી'
'બીજું કે હું અને મારી વાઈફ બન્ને એકલા રહીએ છીએ'
'મારી પાસે પૈસા છે પણ વસ્તુ નથી મળતી'
'બન્ને પોઝિટિવ છીએ'
છેલ્લુ વાક્ય વાંચીને તો હું સ્તબ્ધ થઈ ગયો. મેં ઉતાવળે જ પુછી લીધું,
' બંને પોઝિટિવ !!!!
ડોકટરને કોલ કર્યો ?
શું કહે છે AMCના ડોકટર ? '
શંકરના અવાજમાં દર્દ સાથે ગુસ્સો પણ ઉમેરાયો,
' હમણાં આવે છે..... એમ ને એમ બે દિવસ થઈ ગ્યા'
આખરે મેં શંકરનો નંબર માંગ્યો અને મોબાઈલ પર વાત કરી તો શંકરે કહ્યું કે,
' ભાઈ, મારું ઘર એસપી રીંગ રોડ અને કઠવાડા રોડ નજીક આવેલા શિવગણેશ રેસિડેન્સીમાં છે. ફલેટના બીજા માળે E 13માં રહું છું. હું અને મારી પત્ની ભારતી બન્નેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. બે દિવસથી ઘરમાં બંધ છીએ. મારા ઘરથી એકાદ કિલોમીટર કઠવાડા ગ્રામ પંચાયત છે. તેમનો સંપર્ક કર્યો હતો. તેઓ કહે છે કે એમ્બ્યુલન્સ નિકળી ગઈ છે. બે દિવસ થયા. પણ હજુ એમ્બ્યુલન્સ પહોંચી નથી. ડોકટરે કોરોના પોઝિટિવ છો એમ જણાવવા ફોન કરેલો અને ઘરમાં જ રહેવા કીધું. પણ અમને કોઈ દવા દેવા પણ આવ્યું નથી. અહિં ફલેટમાં અમને મદદ કરતા લોકો ડરે છે. કોઈ વસ્તુ લેવા અમે બહાર જઈ શકતા નથી. વળી, લોકડાઉનને કારણે બહાર દુકાનો પણ બંધ છે. અમે બન્ને પતિપત્ની ખુબ પરેશાન થઈ ગ્યા ભાઈ. આ તો SVP હોસ્પિટલમાંથી તમે આપેલો ઈન્ટરવ્યુ અમે TV9 Gujarati ન્યૂઝ ચેનલ પર જોયો. તમે આયુર્વેદિક ઉપચાર અને ઘરે સારવારની વાતનું બોલી રહ્યાં હતા. એટલે તમને ફેઈસબુક મેસેન્જરમાંથી મેસેજ કર્યો. અમને પ્લીઝ કોઈ મદદ કરી શકશો ?' એક શ્વાસે શંકર બધું જ બોલી ગયો.
મારી માનસિક તૈયારી હતી જ કે કંઈક આવી જ પરિસ્થિતિ હશે. મેં શંકરને કહ્યું,
' શંકરભાઈ મને શાંતિથી સાંભળો. પહેલા તો પંખા નીચે શાંતિથી બેસી જાવ અને હું કહું છું એના પર ધ્યાન આપજો. શું તમે બન્ને પતિપત્નીને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો છે ?'
'ના બસ થોડું તાવ જેવું છે. બાકી કંઈ ખ્યાલ નથી આવતો. જયેશભાઈ અમે બન્નેએ સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.અમે બેય એકલા છીએ. અમને હાલ કોઈ મદદ કરે એવું પણ નથી. તમે અમારી પરિસ્થિતિ સમજી શકો એમ છો. કોઈ અમને હોસ્પિટલ પણ નહીં લઈ જાય !' હજુ પણ તેઓ ચિંતામાં જ બોલ્યે જતાં હતા.
'શંકરભાઈ..... શાંત થાઓ. જુઓ અત્યારે કદાચ પરિસ્થિતિ એવી છે કે, હોસ્પિટલમાં જગ્યા ન પણ મળે. કોરોનાના લક્ષણ વધુ હોય તો ચોક્કસ હોસ્પિટલમાં દવા લેવી જ જોઈએ. પણ તમારી તો ઘરે પણ સારવાર થઈ જ શકે છે. બલ્કે હું તો એમ માનું છું કે તમે મારા કરતાં પણ વધારે લકી છો. કારણ કે હું તો અહીં ઘણા કોરોના પોઝિટિવ દર્દી વચ્ચે છું. તમે તો ઘરે રહી સલામત રીતે સારવાર લઈ શકો છો. વળી, તમારી સાથે તમારી સૌથી પ્રિય વ્યક્તિ પણ છે.'
બાજુમાં જ ઉભેલી શંકરની પત્ની ભારતીનો અવાજ આવ્યો,
' જયેશભાઈ પણ અમારા ફલેટના લોકો ડરી ગયા છે. એમાંય અમને ઘરે રહીને સારવાર કેવી રીતે લેવા દેશે ? હવે અમારું શું થશે ?'
'ભારતીબેન.... તમે બન્ને ઘરની બહાર નહીં નિકળતા. અને બધા નિયમોનું પાલન પણ કરશો જ..... સોસાયટીના લોકોને આ વિશ્વાસ અપાવશો તો તેઓ મદદ કરશે જ. તમે ચિંતા ના કરો. તમે બેય જલ્દી સારા થઈ જ જશો. મને પુરો વિશ્વાસ છે. આ જ વાત તમે મારા ઈન્ટરવ્યુમાં જોઈ હતી એટલે જ તો તમે મને કોન્ટેક્ટ કર્યો ને...?'
' હા એ તો સાવ વાત સાચી. સારું તો બોલો. અમારે શું કરવાનું છે ?'
મને લાગ્યું કે, હવે શંકર અને ભારતી શાંત થઈ ગ્યા છે. એટલે મેં તેમને કહ્યું,
'જુઓ ઘરમાં જ રહેજો. તમને કોઈ ખાસ લક્ષણો નથી. એટલે થોડી ઘણી દવાની જરૂર હશે તો પણ હું અમારા રીપોર્ટર સાથે પહોંચતી કરી દઈશ. અત્યારે ઘરમાં જ જે ઉપચાર કરવાનો છે તે બરાબર સાંભળો.અત્યારથી તમારે એક લિટર ગરમ પાણીમાં 2 થી 3 ચપટી સૂંઠનો પાવડર નાંખીને પીવાનું શરૂ કરવાનું છે. દર અડધી કલાકે ત્રણ ચાર ઘુંટડા પાણી પીજો. કાલે આખો દિવસ પણ આવું જ કરજો. ભૂખ લાગે તો મગનું પાણી અને બાફેલા મગ ખાજો. વધુ જરૂર પડે તો મમરા ખાજો.બીજા દિવસથી ખીચળી, દાળભાત જેવું હળવું ખાવાનું શરૂ કરજો. પણ સૂંઠ સાથે ગરમ પાણી પીવાનું ખાસ ચાલુ જ રાખજો. અને હા ગળામાં તકલીફ જેવું લાગે તો ગરમ પાણી સાથે અજમાનો નાસ લેજો. અશક્તિ લાગે તો હુંફાળા પાણીમાં લીંબુ પાણી બનાવીને પીજો. પાડોશી મદદ કરે તો બે આયુર્વેદિક ગોળી મંગાવી લેજો. યસ્ટીમધુ ઘનવટી કે જેઠીમધની ગોળી દર 3 કલાકે ચુસજો. ગળો ઔષધીવાળી સંસમની વટીની ગોળી સવાર સાંજ ચાવી જજો. તાવ ભાગી જશે. ઘરમાં હળદર, તજ, સૂંઠ, મરી, તુલસીનાં પાંદડામાંથી બનાવેલો આયુર્વેદિક ઉકાળો પીજો. આયુર્વેદિક ઉપચાર કરતાં હોઈએ તો ત્યાં સુધી દૂધ દહીં ન ખાવાની હમણાં પરેજી રાખજો. ' મારી આયુર્વેદની સારવાર કરી નવજીવન આપનાર Vaidya Mahendrasinh Sarvaiya વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ સૂચવેલા ઉપાયો મેં તેમને જણાવી દીધાં.
'બસ આટલું કરવાથી ફેર પડી જશે ?' શંકરે ચિંતા વ્યક્ત કરી.
'હા. અડધી તો તકલીફ દૂર થઈ જ જશે. બાકીની અડધી તકલીફ તમારે બન્નેનો પ્રેમ દૂર કરશે. પ્રેમ કર્યો છે ને તમે.....તો હવે મુશ્કેલ ઘડીમાં એકબીજાનો સાથ નિભાવો. બન્ને એકબીજાનું ધ્યાન રાખો. ભૂતકાળની મીઠી યાદોને તાજી કરો.ખુશ રહો. એમ સમજો કે કોરોનાએ તમને આ રીતે જ સાથે રહેવાનો મોકો આપ્યો છે. ફરી આવો મોકો નહીં મળે.' અમે બધાં સાથે હસી પડ્યાં.
આખરે તેમને હળવાશમાં જોઈ મને ખુબ સારું લાગ્યું. 'કોઈ મુશ્કેલી હોય તો ફોન કરજો' એમ કહી મેં ફોન મૂક્યો.
મેં તેમના માટે પ્રાર્થના કરી કે, "હે ઈશ્વર ! દવા કે દુવાની સાથે પ્રેમનું બળ તેમને મળી રહે. તેઓ પ્રેમ નિભાવી શકે તેવી શક્તિ આપજે."
ત્રણ ચાર દિવસ બાદ હું સાજો થઈને ઘરે આવી ગયો. આ દરમ્યાન અમે મેસેજથી એકબીજાના સંપર્કમાં હતા. શંકર અને ભારતી જરૂરી દવાઓ, આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર અને એકબીજાના પ્રેમના સહારે ઘરે જ સારવાર લઈ રહ્યાં હતા. આડપડોશનો પણ સાથ મળ્યો. આખરે મેં મહિનાની 26 તારીખે શંકર અને ભારતી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ચેકઅપ બાદ તબીબોએ કહ્યું કે, 'તેમને બન્નેને કોરોનાના હવે કોઈ લક્ષણ નથી. તમે સ્વસ્થ છો.' ખુશ થતા થતા શંકર અને ભારતી ઘરે આવ્યા તો ઉષ્માભેર તેમનું સ્વાગત થયું. મને ફોટો મોકલીને જાણ કરી તો મેં વિડીયો કોલ પર બંનેના હાલચાલ પૂછ્યા,
'Congratulation. હવે બોલો, કેવું લાગે છે ? એકબીજાને કેવી હિંમત આપી ? આ દિવસોમાં શું શું યાદ કર્યું ? '
શંકરે કહ્યું,
'અમારા પ્રેમની વાતો યાદ કરી. પ્રેમલગ્નની તકલીફોને પણ વાગોળી. સાથે બેસી લગ્નનાં ફોટા જોયા. ઘરનું ઘર બનાવતી વખતે જે તકલીફોમાં એકબીજાને સાથ સહકાર આપ્યો હતો તે યાદ કરી એકબીજાનો આભાર વ્યક્ત કર્યો.'
શંકરના ચહેરા પર ખુશી જાણે ગંગાની જેમ વહી રહી હતી.
ભારતી એ કહ્યું,
' અમારે સંતાનની તકલીફ છે ભાઈ. લાખો ખર્ચી ચૂક્યા છીએ. પણ ભગવાન પર ભરોસો આ દિવસોમાં વધુ દ્રઢ થયો છે. તમને ખબર છે જયેશભાઈ, શંકરનો પગાર સાડા દસ હજાર છે અને ઘરનો EMI અગિયાર હજાર ભરવો પડે છે. હું પણ સિલાઈકામથી તેમને મદદ કરું જ છું. સાચું કહું તો, આ દિવસોમાં અમે પણ એકબીજાને વધારે સમજી શક્યા છીએ. તમે ખરા સમયે મદદ કરી ભાઈ. તમારો ખુબ ખુબ આભાર.'
શંકર પણ બોલી ઉઠ્યો,
' હા જયેશભાઈ, હવે સાજા થઈ ગયા છીએ અમે. હવે વધુ મહેનત કરીને આગળ વધીશું બસ. ભગવાનનો ખુબ ખુબ આભાર અને ખાસ તો તમારો આભાર. કેમ કે તમે પણ હોસ્પિટલમાં કોરોના સામે લડી જ રહ્યાં હતાં, તોયે સમય કાઢીને અમને મદદ કરતા રહ્યાં. તમારો આભાર તો કેમ કરીને માનવો ભાઈ.'
આ સમયે મેં એમને ત્રણ વાત કહી,
' ભાઈ હું હોવ, તમે કે કોઈપણ કેમ ન હોય ? ત્રણ વાત જાણી લો.
પહેલું વિલ પાવર, આપણી જીવવાની અને કોરોના સામે જીતવાની ઇચ્છાશક્તિ જ કામ કરે છે.
બીજું ઇમ્યુનિટિ પાવર. આપણી રોગપ્રતિકારક શક્તિને વધારીને જીતી શકાય છે.
ત્રીજું અને અત્યંત મહત્વનું, સુપ્રીમ પાવર. તમને જેના પર આસ્થા છે તેને યાદ કરતા રહો, તેને પ્રાર્થના કરતા રહો. મને મારા માબાપ અને સંતોના આશીર્વાદ, ઈશ્વર અને મારા ગુરુ પ્રસાદજી મહારાજના વચન પર અતુટ શ્રધ્ધા હતી. એટલે જ કોરોના સામે જીતીને બહાર નીકળી શક્યો. તમે પણ એટલે જ જીત્યા છો. બરાબર ને !'
વાતમાં હામી ભરીને શંકર અને ભારતીએ ઈચ્છા વ્યક્ત કરી.
' જયેશભાઈ. બસ હવે એકવાર તમને રૂબરૂ મળવું છે.'
' હા જરૂર. થોડા દિવસો પછી આપણે જરૂર મળીશું અને જીવનના બાકીના પ્રશ્નોનો પણ રસ્તો કાઢીશું.'
મિત્રો, અંતે મેં શંકર અને ભારતી સામે તેમની આ વ્યથા અને સ્વસ્થ થવાની વાત લોકો સમક્ષ રાખવાની વાત કરી. તેઓ તુરંત જ તૈયાર થઈ ગયા. એટલું જ નહિં 'અમારા સાચા નામ સાથે જ તમે લખજો' એવી ઉત્સાહ સાથે સંમતિ આપી. બન્નેએ સૌને સંદેશ આપતો એક વિડીયો પણ મોકલી આપ્યો છે. જેથી કોરોના મહામારીમાંથી હિંમતભેર બહાર નીકળવાની લોકો પ્રેરણા લઈ શકે.
આ સાથે અમારી વાતચીતના કેટલાક સ્ક્રીન શોટ મૂકેલા છે. જેથી આ આખીય વાતની ખરાઈનો લોકોને ખ્યાલ આવી શકે.
છેલ્લે તમને બધાને ખાસ વિનંતી છે કે, તમને લાગે કે 'આ લેખથી કોઈને મદદ મળી શકે એમ છે' તો જરૂર તેમના સુધી માહિતી પહોંચાડવાનું પુણ્ય લેજો. સાથોસાથ કોરોના યોદ્ધા શંકર અને ભારતીની હિંમતને બિરદાવવાનું અને તેમના પ્રેમને પોખવાનું ભૂલતા નહીં. જેથી બીજા લોકો પણ હિંમત મળે.
અભિનંદન શંકર અને ભારતી.💐💐💐💐💐
No comments:
Post a Comment