અંગ્રેજોએ ગુજરાતમાં કર્યો હતો સૌથી મોટો માનવસંહાર ?
 |
જલિયાંવાલ બાગ હત્યાકાંડ |
ગુજરાતના અતિતને યાદ કરો, તો સોનેરી યોદોના શમણાં આંખોમાં ચમકી ઉઠે, ને ત્યારે દરેક ગુજરાતીની છપ્પનની છાતી ગજગજ ફુલે. પણ એવી પણ કેટલીક વસમી યાદો છે કે જેને યાદ કરીએ તો આજે પણ આપણું હ્રદય ધબકારી ચૂકી જાય. આ એવી વાતો છે જે વિસરાઈ ગઈ છે, ઈતિહાસ બનીને ધરબાઈ ગઈ છે. આ વિસરાયેલી વાતોને યાદ કરીશું તો તમને પણ થશે કે, ખરેખર આ ઘટનાઓ ગુજરાતમાં બની હતી?
 |
બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો કહેર |
અંગ્રજોએ કરેલો સૌથી મોટો માનવસંહાર કયો ?
તમે કહેશો – જલિયાંવાલા બાગ હત્યાકાંડ. પણ શું તમને ખબર છે જલિયાંવાલા બાગ કરતા પણ મોટો હત્યાકાંડ આપણા ગુજરાતમાં સર્જાયો હતો. એ પણ બબ્બે વાર. આ હત્યાકાંડ એવા હતા કે જેને તમે ગણી શકો, અંગ્રેજોનો સૌથી મોટો નરસંહાર. આપણને યાદ છે ઈ.સ. 1919ની 13મી એપ્રિલનો ભારતીય ઈતિહાસનો કાળો દિવસ કે જ્યારે અમૃતસરની ધરતી રક્તરંજીત થઈ હતી. અમૃતસરવાસીઓ પર એ દિવસ કહેર બનીને ત્રાટક્યો હતો. બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરની 50 સૈનિકોની ટુકડી જલિયાંવાલા બાગ પહોંચી. જ્યાં બૈસાખીના ઉત્સવ ઉજવવા ભેગા થયેલા 5000 હજાર નિર્દોષો પર તેમણે બેફામ ગોળીબાર કર્યો અને 1000થી પણ વધારે નિર્દોષોના જીવ લીધા. જો કે અંગ્રેજોએ તો મૃત્યુઆંક દર્શાવ્યો માત્ર 379.
ઈતિહાસની આ ઘટના વિશે આપણને ખબર છે. પણ ગુજરાતમાં તો આવા બબ્બે હત્યાકાંડ થઈ ગયા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ પહેલા ઈ.સ. 1913ની 17મી નવેમ્બરે પંચમહાલના માનગઢમાં અને જલિયાંવાલા બાગ હત્યાકાંડના ત્રણ વર્ષ પછી ઈ.સ. 1922ની 7મી માર્ચે સાબરકાંઠાના દ્ઢવાવમાં. જો કે ગુજરાતમાં સર્જાયેલા અને અંગ્રેજો દ્વારા સર્જાયેલા આ લોહિયાળ હત્યાકાંડને આપણે વિસરી ગયા છીએ. આપણે ભૂલી ગયા છીએ ગુજરાતના શહિદોની યાદ.
અંગ્રેજોનો સૌથી મોટો માનવસંહાર : ગુજરાતનો માનગઢ હત્યાકાંડ
પંચમહાલના માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ, ખીણોની ભીતરમાં, કાળમીંઢ પત્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઈતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકશો. પ્રકૃતિપૂજકોની હ્રદયદ્વાવક ચીસો અને કિકીયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં પડઘાતું લાગે. જો કે માનગઢની ટેકરીઓ પર લોહીથી તરબતર થનારું એ પ્રકરણ તો લોહીભીનું જ સંકલાઈ ગયું હતું. ઈ.સ. 1913ની 17મી નવેમ્બર અને કારતક સુદ પુનમની તિથીએ પંચમહાલની માનગઢની ટેકરી પર આનંદ હતો. ભીલરાજ માટેની ભગત ચળવળને લઈને ભીલોમાં ઉમંગ હતો. ધાર્મિક પ્રચારકમાંથી રાજકીય નેતા બની ઊભરેલા ગુરુ ગોવિંદગરની હાકલ હતી એટલે ભીલોના સમૂહ માનગઢની ટેકરીઓ તરફ આગળ વધી રહ્યા હતા. તેમના હાથમાં ભગત સંપ્રદાયનો ઝંડો હતો. ધાર્મિક મેળાના પ્રતિભાવરૂપે ઘી, નારીયેળ અને એક આનો રોકડો લઈને ભીલોના સમૂહ આગળ વધી રહ્યો હતા. ભીલરાજના સ્વપ્ન સાથે જનજાગરણ માટે ઉમટેલા હજારો ભીલોનો સમૂહ મનમાં મલકાતો હતો કારણ કે, આજે તો તેઓ ભગત ચળવળ માટે એકતા અને સંગઠન કાજે ધાર્મિક મેળામાં શાંતિથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા.
 |
માનગઢ ટેકરી પર અંગ્રેજોનો કહેર |
બીજી તરફ, અંગ્રેજ કેપ્ટન જે. પી. સ્ટોકલ, મિ. સી. ડબલ્યુ, એમ. હડસન અને લશ્કરી અફસરોના પગલાની આહટ માનગઢની ટેકરીને ઘેરી રહી હતી. ભગત ચળવળને ભોં ભેંગી કરવા માટે અંગ્રેજોએ માનગઢની ટેકરી પર ભીલોના સમૂહ પર અંધાધૂંધ ગોળીએ વરસાવી. ચીસો અને ચિત્કાર વચ્ચે 1506 ભીલોના ઢીમ ઢાળી દીધા. જલિયાંવાલા બાગ પહેલા જ ગુજરાતની ધરાને આ ઘટનાએ રક્તરંજિત કરી દીધી.
ગુરુ ગોવિંદગર કે જેઓ ભીલોના ઉદ્ધાર માટે ભગત સંપ્રદાય સ્થાપ્યો હતો અને ભીલોને વ્યસનમુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપતા હતા. તેમનામાં સદાચારના ગુણો રોપી રહ્યા હતા. જેથી ભીલોએ દારૂ પીવાનું છોડવા લાગ્યું. તેમના અધિકારો માટે લડવા અંગ્રજો સામે પણ તૈયાર થવા લાગ્યા. જેના કારણે રજવાડાઓ અને શાહુકારોએ ગુરુ ગોવિંદગરની ભગત ચળવળને ડામી દેવા મન મેલું કર્યું. માનગઢની ટેકરી પર લોહી વહેડાવ્યા બાદ ગુરુ ગોવિંદગર અને તેમના સાથીઓને કેદ કરાયા ને સજા પણ કરાઈ. એટલું જ નહી ભીલોની શહાદતના લોહીભીના પ્રકરણને માનગઢની ટેકરી પર જ ધરબી દેવાયું. સમકાલીન નેતાઓનું નેતૃત્વ અને પીઠબળ પણ આ કમનસીબોને નસીબ ન થયું. તેથી ભીલરાજની ભગત ચળવળ ન તો દેશભણી બની, ન તો ઈતિહાસના પન્નાઓમાં અંકિત થઈ.
 |
માનગઢમાં થયો માનવસંહાર |
હાલ તો નવ દશકાથી પણ વધું સમય થઈ ગયો છે. માનગઢની ટેકરી પર ગુરુ ગોવિંદગરની યાદમાં ભીલોએ મંદિર બનાવ્યું છે. જ્યાં દર વર્ષે કારતક સુદ પુનમે મેળો ભરાય છે ત્યારે અહિના પ્રકૃતિપૂજકો શહીદોની શહાદતને વાગોળે છે. ગુરુ ગોવિંદગરની ભગત ચળવળની વિસરાય ગયેલી વસમી યાદો પ્રકૃતિપૂજકોની દંતકથાઓમાં, તેમના ધાર્મિક સાહિત્યોમાં અને માનગઢની વેરાન ટેકરીઓમાં સચવાઈ છે.
અંગ્રેજોનો સૌથી મોટો અન્યાય : ગુજરાતનો દ્ઢવાવ હત્યાકાંડ
 |
દ્ઢવાવના આદિવાસીઓ પર અત્યાચાર |
માનગઢ અને જલિયાંવાલ બાગ હત્યાકાંડ બાદ વધુ એક વાત વિસરાઈ ગઈ છે. જલિયાંવાલા બાગ હત્યાંકાડના માત્ર ત્રણ વર્ષ બાદ ઈ.સ. 1922માં પણ આવી જ બીજી ઘટના ઘટી સાબરકાંઠાના દ્ઢવાવમાં. દ્ઢવાવમાં પણ જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ સર્જાયો. જેમાં નિ:
હત્થા અને નિર્દોષ આદિવાસીઓને ફરી નિશાન બનાવાયા. બ્રિટિશ શાસન વખતે ભારતીયો જ્ઞાતિ, ધર્મ અને સમાજના વાડા તોડીને આઝાદીની જંગમાં ઝંપલાવી રહ્યા હતા. જેમાં વનવગડામાં વસનારા દ્ઢવાવના ભીલવા આદિવાસીઓ પણ બાકાત નહોતા. નિરક્ષર આદિવાસીઓને આઝાદી માટે હામ ભીડવા માટે પ્રેરણા આપી રહ્યા હતા ભીલોના ગાંધી તરીકે જાણીતા મોતીલાલ તેજાવત. ઈ.સ.1922ની 7મી માર્ચે દ્ઢવાવના હરમાતાના કાંઠે એક સભા યોજાઈ. મોતીલાલ તેજાવતની આગેવાનીમાં ભીલવા આદિવાસીઓ ભેગા થયા હતા. આ સભાની જાણ થતાની સાથે જ બ્રિટિશ અર્ધલશ્કરી દળના અંગ્રેજ અમલદાર એચ. જી. સટ્ટે અહિં લશ્કર ખડકીને નિર્દોષ આદિવાસીઓ પર બેફામ ગોળીબાર કર્યો. 1200થી પણ વધારે આદિવાસીઓના પ્રાણ પંખેરું ઉડી ગયા.
 |
દ્ઢવાવના આદિવાસીઓ પર બેફામ વરસતી ગોળીઓ |
આ ઘટના અંગે સંશોધન કરનારા પ્રૉ. અરુણ વાઘેલાના મતે, આ ઘટનામાં બારસોથી પણ વધારે લોકોના મોત થયા હતા. સ્થાનિકોના સાથેના તેમના સંવાદોમાં તેમને ખ્યાલ આવ્યો કે જેમ જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં લોકો જીવ બચાવવા કુવામાં કુદી ગયા હતા, તેમ અહિં પણ આદિવાસીઓ અહિની વાવમાં કુદી પડ્યા. પણ બ્રિટિશરોએ તેમને વાવમાં પણ વિંધિ નાખ્યા એટલું જ નહિ, બચવા માટે આમતેમ નાસી રહેલા આદિવાસીઓ પર ગોળીઓની બેફામ વર્ષા કરી. એટલે સુધી કે જીવ બચાવવા ઝાડ પર ચડી ગયેલા લોકોને પણ વિંધી નાખ્યા. અહિ આવેલા આંબાના ઝાડને વર્ષો બાદ કાપતી વખતે તેમાંથી પણ ગોળીઓ મળી આવી છે. એટલું જ નહિ 1980માં જ્યારે અહિની વાવમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે પણ તેમાંથી અનેક માનવઅસ્મી મળી આવ્યા હતા. જે સાક્ષી પુરે છે નવ દશકા પહેલા થયેલા લોહિયાળ અત્યાચારની.
 |
દ્ઢવાવ શહીદ સ્મારક |
આ ઘટનાનો ઉલ્લેખ ઈતિહાસના પન્નાઓમાં તો નથી થઈ શક્યો પણ હા એ સમયે અ વિસ્તારમાં રહેતા અને ત્યારબાદ લંડન જઈ વસેલા એક પાદરીની રોજનીશીમાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. બાકી હાલ તો બળીયાઓના પાળીયા પૂજાય તેમ રાજકીય નેતાઓએ બે અલગ અલગ શહીદ સ્મારકો બનાવ્યા છે. 1200 વૃક્ષો વાવીને 'શહીદવન' ઊભું કરાયું છે જે જાળવણીના અભાવે હાલ 'વેરાનવન' બની ગયું છે.
 |
દ્ઢવાવ શહીદ સ્મારક |
વાસ્તવમાં જે સલામીના હકદાર હતા તેઓ સદેહે જ દ્ઢવાવમાં દફન થઈ ગયા. સાથોસાથ મોતીલાલ તેજાવત અને ભીલવા શહીદોની શહીદગાથા પણ હાલ ગણ્યાગાંઠ્યા સ્થાનિકોની જ જૂબાને છે. માનગઢ હોય કે દઢવાવ, આ બન્ને જલિયાંવાલા બાગ કરતા પણ મોટાં હત્યાકાંડ હતા. પરંતુ ઉજળીયાત નહિ ભીલવા આદિવાસી પર થયેલા અત્યાચારને પીઠબળ આપવામાં સમકાલીન રાષ્ટ્રીય નેતાઓએ પણ રસ દાખવ્યો નહી. તેથી જ તો ગુજરાતની ધરા પરના આ લોહીભીના પ્રકરણ સૌ કોઈ વીસરી ગયા. આ ઘટનાને નવ દશકા કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. લોકો જલિયાંવાલ બાગ હત્યાકાંડને યાદ કરે છે ને અંગ્રજોને ધિક્કારે છે. પણ શાહુકારો અને ધનાઢય લોકોએ પોતાના હીત સાચવવા માટે અંગ્રેજો સાથે મળીને પ્રકૃતિપૂજકો પર જે અત્યાચાર કર્યો તે કોઈ યાદ કરતું નથી. ગુજરાતના શહીદોની આ શહાદતને કોઈ યાદ કરતું નથી. આ વાતો વિસરાઈ ગઈ છે.
shahadat ne salam.
ReplyDeleteટીવી પર કાર્યક્રમ જોયો હતો, લાંબા સમયથી મહેનત કરીને બનાવેલી લઘુ ફિલ્મ હોય એટલો દરેક રીતે દમદાર હતો. અહી સઘળી વિગતો ટૂંકાણમાં વાંચવા મળી એ પણ એટલી જ અસરકારક.
ReplyDeletesg chaudhari.
khub saras research article che
ReplyDelete