Tuesday, May 31, 2011

આશરાની શોધનો અંતિમ મૂકામ - 'ગુજરાત'

            ગુજરાતમાં સંજાણ બંદરે પારસીઓ આશરાની આશ સાથે આવ્યા અને દુધમાં સાકર ભળે તેમ ગુજરાતમાં ભળી ગયા. 1000 હજાર વર્ષ સુધી ભટકતું જીવન ગુજારનાર ઈઝરાયલવાસીઓને પણ ગુજરાતની ધરા વિસામો આપી ચુકી છે. આ વાતો હવે તો દંતકથાની જેમ ગુજરાતવાસીઓને યાદ છે. આવી જ રીતે અજાણી ભોમકાના ભુલકાઓ ગુજરાતની ધરતી પર આશરાની શોધમાં આવ્યા હતા. જેઓ અહિં થોડા સમય રહ્યા. પણ જ્યારે અહિંથી વિદાય થયા ત્યારે ગુજરાતના આશરાની મહેંક સાથે લેતા ગયા ને સમગ્ર દુનિયાને સંદેશો આપ્યો કે ગુજરાતનો આશરો સૌથી મોટો છે.
                 આ વાત છે બીજા વિશ્વયુદ્ધ સમયની. આ  વાતને વાગોળી રહ્યા છે જીવનની સદી પુરી કરનારા નિર્મળસિંહ. જેઓ સાક્ષી પુરી રહ્યા છે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નિર્મળ હ્રદયની. 108 વર્ષની જૈફ વયે નિર્મળસિંહ બીજા વિશ્વયુદ્ધની તંગદિલીભરી પરિસ્થિતિને યાદ કરે છે અને ગુજરાતના આશરાની વાત માંડે છે. બીજા વિશ્વયુદ્ધમાં ઈંગ્લેન્ડની ધાકથી ઘણા પ્રદેશો પરેશાન હતા. પોલેન્ડના સૈન્ય અધિકારીઓને પણ પોતાનો જીવ જોખમમાં લાગ્યો. જ્યારે પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે સંતાનોના ભાવિનું શું ? આવા સવાલથી ઘેરાયેલા 2000થી વધારે સૈન્ય અધિકારીઓએ પોતાના વ્હાલસોયા બાળકોને એક જહાજમાં બેસાડી દીધા. વિશ્વયુદ્ધ બાદ પોતે જીવતા હશે તો તમને ફરી મળીશું નહિંતર કોઈ સુરક્ષીત ભૂમી પર જઈને જીવી લેવાની હામ આપી ભારે હ્રદયે તેમણે તેમના બાળકોને જહાજમાં રવાના કરી દીધા. આખરે આશરાની શોધમાં નીકળી પડ્યું જહાજ ત્યારે દરેકના મનમાં સવાલ હતા, કે કયા કિનારે મળશે આશરો ?, કઈ ભોમકા પર મળશે સધિયારો ? આ અસમંજસ સાથે દર દર ઠોકરો ખાતા બાળકો એક કિનારેથી બીજા કિનારે આશરો માંગતા રહ્યા. પણ ઈંગ્લેન્ડના ડરથી દરેક ઠેકાણેથી આ બાળકોને મળ્યો બસ જાકારો....
મુંબઈમાં આશરો શોધતું જહાજ
          આશરો શોધતું જહાજ મુંબઈ આવી પહોચ્યું. અહિ પણ તેમને ઈંગ્લેન્ડની ધાક નડી ગઈ. જો કે આશરાની આશ પણ અહિંથી જ મળી. મુંબઈમા સધિયારો આપે તેવો સથવારો તો ન મળ્યો પણ જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહની મદદ મળી રહેવાની દિશા મળી ગઈ. આખરે જામસાહેબ સુધી આશરાનો સંદેશો પહોચ્યો. સાથોસાથ ઈંગ્લેન્ડની ધાકની વાત પણ કરી. આશ્રયની વાત આવે ત્યારે ગુજરાતનું ખમીર પાછીપાની ન કરે. જામસાહેબ દિગ્વિજયસિંહજીએ અંગ્રેજો સામે છપ્પનની છાતી રાખી નોંધારા બાળકોની જવાબદારી સ્વીકારી. એટલું જ નહી પોલેન્ડથી આવેલા સૈન્ય અધિકારીઓના બાળકોથી ઈંગ્લેન્ડને કોઈ નુકસાન નહિ પહોંચે તેની બાહેંધરી આપી. સાથોસાથ તમામે તમામ બાળકોના રખરખાવ અને તાલીમની વ્યવસ્થા પણ ગોઠવી આપી.
બાલાચડી સૈનિક સ્કૂલ, જામનગર
               જામનગરમાં બાલચડીની સ્થાપના થઈ અને તમામ બાળકોને સૈન્ય તાલીમ આપવાની શરૂઆત થઈ. પાંચ વર્ષ સુધી બાળકોને માતાપિતાની હુંફ તો આપી જ સાથોસાથ તેમને ક્યારેય વ્હાલપની  ઉણપ આવવા ના દીધી. આટલી વાત કહેતા કહેતા તો નિર્મળસિંહની વૃદ્ધ આંખો છલકાઈ ઊઠે છે. નિર્મળસિંહ એ સમયે બાળકોની સારસંભાળ ને દેખરેખ રાખતા. આજે પણ તેઓ એ બાળકોની તાલીમ  અને નિભાવના સંસ્મરણો વાગોળી રહ્યા છે. એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ બાળકોને જે ખુશીઓ મળી હતી તે  તેમના માટે તો જીવનભરનું સંભારણું બની રહી.
પાંચ વર્ષમાં બાલાચડીમાં બાળકોને મળેલી ખુશીઓ
            બીજા વિશ્વયુદ્ધ બાદ આ બાળકોને પાચ વર્ષ પછી ઘેર પરત થવાનો અવસર આવ્યો તો બાલાચડી છોડવાનો તેમને વસવસો થવા લાગ્યો હતો. આમાંથી જ એક બાળકે તો સ્વીડનના વાઈસ પ્રેસિડેન્ટનું પદ શોભાવ્યું. તો અન્ય બાળકો પણ મોટા મોટા પદ પર આરૂઢ થયા. જ્યારે જ્યારે પણ તેઓ અંહિ આવ્યા ત્યારે ત્યારે અહિંની માટીને માથે ચડાવી નતમસ્તક થયા.

જામદિગ્વિજયસિંહજી સાથે પોલેન્ડના બાળકો
            "બાળકને માં સાચવે તેમ અમને બાલચડીએ સાચવ્યા છે" - આ સંદેશ બાલચડીમાં આશ્રય મેળવનારા બાળકોએ સમગ્ર વિશ્વમાં આપ્યો. જેની પ્રતિકરૂપી તકતી બાલચડીમાં આજે પણ ગુજરાતના આ મહામૂલા આશરાની ભાવનાની યાદ કરાવે છે. એટલું જ નહી પોલેન્ડમાં પણ એવી જ પ્રતિમા ગુજરાતના આશરાની વાત કહી રહી છે. આ તો ગુજરાતનું ખમીર છે. જે દુનિયાએ પણ માન્યું છે. તેથી જ તો સાર્થક છે કે દુનિયામાં સૌથી મોટો આશરો ગુજરાતનો છે.

2 comments: