Wednesday, November 16, 2011

શું તમને યાદ છે આજથી 98 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલો હત્યાકાંડ ?


અંગ્રેજોનો સૌથી મોટો માનવસંહાર : ગુજરાતનો માનગઢ હત્યાકાંડ 


        પંચમહાલના માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ, ખીણોની ભીતરમાં, કાળમીંઢ પત્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઈતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકશો. પ્રકૃતિપૂજકોની હ્રદયદ્વાવક ચીસો અને કિકીયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં પડઘાતું લાગે. જો કે માનગઢની ટેકરીઓ પર લોહીથી તરબતર થનારું એ પ્રકરણ તો લોહીભીનું જ સંકલાઈ ગયું હતું. ઈ.સ. 1913ની 17મી નવેમ્બર અને કારતક સુદ પુનમની તિથીએ પંચમહાલની માનગઢની ટેકરી પર આનંદ હતો. ભીલરાજ માટેની ભગત ચળવળને લઈને ભીલોમાં ઉમંગ હતો. ધાર્મિક પ્રચારકમાંથી રાજકીય નેતા બની ઊભરેલા ગુરુ ગોવિંદગરની હાકલ હતી એટલે ભીલોના સમૂહ માનગઢની ટેકરીઓ તરફ આગળ વધી રહ્યા હતા. તેમના હાથમાં ભગત સંપ્રદાયનો ઝંડો હતો. ધાર્મિક મેળાના પ્રતિભાવરૂપે ઘી, નારીયેળ અને એક આનો રોકડો લઈને ભીલોના સમૂહ આગળ વધી રહ્યો હતા. ભીલરાજના સ્વપ્ન સાથે જનજાગરણ માટે ઉમટેલા હજારો ભીલોનો સમૂહ મનમાં મલકાતો હતો કારણ કે, આજે તો તેઓ ભગત ચળવળ માટે એકતા અને સંગઠન કાજે ધાર્મિક મેળામાં શાંતિથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. 
માનગઢ ટેકરી પર અંગ્રેજોનો કહેર
          બીજી તરફ, અંગ્રેજ કેપ્ટન જે. પી. સ્ટોકલ, મિ. સી. ડબલ્યુ, એમ. હડસન અને લશ્કરી અફસરોના પગલાની આહટ માનગઢની ટેકરીને ઘેરી રહી હતી. ભગત ચળવળને ભોં ભેંગી કરવા માટે અંગ્રેજોએ માનગઢની ટેકરી પર ભીલોના સમૂહ પર અંધાધૂંધ ગોળીએ વરસાવી. ચીસો અને ચિત્કાર વચ્ચે 1506 ભીલોના ઢીમ ઢાળી દીધા. જલિયાંવાલા બાગ પહેલા જ ગુજરાતની ધરાને આ ઘટનાએ રક્તરંજિત કરી દીધી.  

    ગુરુ ગોવિંદગર કે જેઓ ભીલોના ઉદ્ધાર માટે ભગત સંપ્રદાય સ્થાપ્યો હતો અને ભીલોને વ્યસનમુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપતા હતા. તેમનામાં સદાચારના ગુણો રોપી રહ્યા હતા. જેથી ભીલોએ દારૂ પીવાનું છોડવા લાગ્યું. તેમના અધિકારો માટે લડવા અંગ્રજો સામે પણ તૈયાર થવા લાગ્યા. જેના કારણે રજવાડાઓ અને શાહુકારોએ ગુરુ ગોવિંદગરની ભગત ચળવળને ડામી દેવા મન મેલું કર્યું. માનગઢની ટેકરી પર લોહી વહેડાવ્યા બાદ ગુરુ ગોવિંદગર અને તેમના સાથીઓને કેદ કરાયા ને સજા પણ કરાઈ. એટલું જ નહી ભીલોની શહાદતના લોહીભીના પ્રકરણને માનગઢની ટેકરી પર જ ધરબી દેવાયું. સમકાલીન નેતાઓનું નેતૃત્વ અને પીઠબળ પણ આ કમનસીબોને નસીબ ન થયું. તેથી ભીલરાજની ભગત ચળવળ ન તો દેશભણી બની, ન તો ઈતિહાસના પન્નાઓમાં અંકિત થઈ. 

માનગઢમાં થયો માનવસંહાર
    હાલ તો નવ દશકાથી પણ વધું સમય થઈ ગયો છે. માનગઢની ટેકરી પર ગુરુ ગોવિંદગરની યાદમાં ભીલોએ મંદિર બનાવ્યું છે. જ્યાં દર વર્ષે કારતક સુદ પુનમે મેળો ભરાય છે ત્યારે અહિના પ્રકૃતિપૂજકો શહીદોની શહાદતને વાગોળે છે. ગુરુ ગોવિંદગરની ભગત ચળવળની વિસરાય ગયેલી વસમી યાદો પ્રકૃતિપૂજકોની દંતકથાઓમાં, તેમના ધાર્મિક સાહિત્યોમાં અને માનગઢની વેરાન ટેકરીઓમાં સચવાઈ છે.

Thursday, June 30, 2011

ગુજરાતનું ટાઈટેનિક - ‘વીજળી’


હાજી કાસમની 'વીજળી'
                  જહાજ ડૂબ્યું આ સાથે જ. બસ, એક જ નામ યાદ આવે – ટાઈટેનિક.
તમને યાદ છે ટાઈટેનિકની ભયાનક દાસ્તાન.
તમને યાદ છે અંધારી રાતની કારમી ચીસો.
પણ ગુજરાતના દરિયામાં પણ ધરબાઈ ગઈ છે આવી જ કારમી ચીસો.
ગુજરાતના દરિયામાં પણ ડૂબી ગઈ છે કેટલીક કિકિયારીઓ.
દરિયાના ઘુઘવતા મોજાની ભીતરમાં ગરકાવ થઈ ગયું છે આક્રંદ. 
તમને વિસરાઈ ગઈ છે ગુજરાતની મોટી જહાજ દુર્ઘટના.
જેમાં 1300થી વધારે જીવ દરિયામાં થયા હતા ગરક.
અને સર્જાઈ ગુજરાતના ટાઈટેનિકની ઘટના.
આઠમી નવેમ્બર, 1888ના રોજ ઘટી હતી એ દુર્ઘટના.
પોરબંદરના દરિયાકાંઠે જહાજ ખેડાણ માટે ઊભું હતું.
નામ હતું 'વીજળી'.
'વીજળી'નો માલિક હાજી કાસમ
સ્ટીમ શીપ એસએસ વેટરેના. જેનો માલિક હતો
હાજી કાસમ.
હાજી કાસમે તેના જહાજને નામ આપ્યું હતું વીજળી’.
વીજળી એટલે હાજી કાસમનું નવ્વાણુમું જહાજ.
વીજળી ખેડવા જઈ રહી હતી તેની અગિયારમી દરિયાઈ સફર.
વીજળીનીકળી હતી માંડવીથી, ત્યાંથી દ્વારકા જઈ પહોંચી હતી પોરબંદર. પોરબંદરથી માંગરોળ, વેરાવળ, મહુવા, ભાવનગર થઈ જહાજ પહોંચવાનું હતું તેની મંઝિલ સુધી, એટલે કે મુંબઈ સુધી.
આ જહાજમાં સવાર હતા તેર તેર વરરાજા, વાણીયા, શાહુકાર વેપારીઓ, કેટલાંક અંગ્રેજો અને મુંબઈ પરિક્ષા આપવા જનારાં વિદ્યાર્થીઓ.
વીજળીએ પોરબંદર છોડ્યું ને ખબર નહી કેમ પણ દરિયાએ બદલ્યો મિજાજ.
દરિયો ઊંચા ઊંચા મોજાઓથી ડરાવવા લાગ્યો.
તોયે પાણીના વમળ વચ્ચે બાથ ભીડતી વીજળી આગળ ધપવા લાગી.
મધદરિયે બાથ ભીડતી 'વીજળી'
મધદરિયાની વીજળીએ બાથ ભીડી આકાશી વીજળી સામે.
સલામતીની દુઆ પ્રાર્થના થવા લાગી.
સૌને બચાવી લેવા હાજી કાસમે મન મક્કમ કરી વીજળીને વેગ આપ્યો.
પણ દરિયાદેવે અને યમદુતે જાણે સાંઠગાંઠ કરી હોય એમ હાજી કાસમનું કંઈ ન ચાલ્યું, ને વીજળી વેરણ થઈ.
1300 લોકો સહીતની વીજળી દરિયામાં ગરક થઈ ગઈ.
વેરણ થયેલી વીજળીમાં તેર તેર વરરાજા ને તેર તેર જાનુંના જાનૈયા પણ હોમાઈ ગયા.
દરિયા દાવન થયો તો તેર તેર નવોઢા કાયમ માટે મનના માણીગરની વાટ જોતી રહી ગઈ.
લાખ લાખ પ્રયત્નો છતાં હાજી કાસમની વીજળી વેરણ થઈ ને જ રહી.
વીજળી ન માત્ર દરિયામાં વેરણ થઈ.
પણ હવે તો લોકગીતો અને અમુક લોકો સિવાયના સૌના સંભારણાના દરિયામાં પણ વીજળી વેરણ થઈ ચૂકી છે.
છતાંયે દરિયાના પેટાળમાંથી કયાંક એ વીજળી કહી રહી હશે.
ભલે વિસરાઈ ગઈ વાત, તોય હું છું ગુજરાત.

સૌજન્ય : કાસમ, તારી વીજળી
“રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી

બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!
ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધીજાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

તેર તેર જાનું સામટી જૂતી
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0
અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0
ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0
હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0
ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0
ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0
પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0
મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0


પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.



Tuesday, May 31, 2011

આશરાની શોધનો અંતિમ મૂકામ - 'ગુજરાત'

            ગુજરાતમાં સંજાણ બંદરે પારસીઓ આશરાની આશ સાથે આવ્યા અને દુધમાં સાકર ભળે તેમ ગુજરાતમાં ભળી ગયા. 1000 હજાર વર્ષ સુધી ભટકતું જીવન ગુજારનાર ઈઝરાયલવાસીઓને પણ ગુજરાતની ધરા વિસામો આપી ચુકી છે. આ વાતો હવે તો દંતકથાની જેમ ગુજરાતવાસીઓને યાદ છે. આવી જ રીતે અજાણી ભોમકાના ભુલકાઓ ગુજરાતની ધરતી પર આશરાની શોધમાં આવ્યા હતા. જેઓ અહિં થોડા સમય રહ્યા. પણ જ્યારે અહિંથી વિદાય થયા ત્યારે ગુજરાતના આશરાની મહેંક સાથે લેતા ગયા ને સમગ્ર દુનિયાને સંદેશો આપ્યો કે ગુજરાતનો આશરો સૌથી મોટો છે.
                 આ વાત છે બીજા વિશ્વયુદ્ધ સમયની. આ  વાતને વાગોળી રહ્યા છે જીવનની સદી પુરી કરનારા નિર્મળસિંહ. જેઓ સાક્ષી પુરી રહ્યા છે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નિર્મળ હ્રદયની. 108 વર્ષની જૈફ વયે નિર્મળસિંહ બીજા વિશ્વયુદ્ધની તંગદિલીભરી પરિસ્થિતિને યાદ કરે છે અને ગુજરાતના આશરાની વાત માંડે છે. બીજા વિશ્વયુદ્ધમાં ઈંગ્લેન્ડની ધાકથી ઘણા પ્રદેશો પરેશાન હતા. પોલેન્ડના સૈન્ય અધિકારીઓને પણ પોતાનો જીવ જોખમમાં લાગ્યો. જ્યારે પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે સંતાનોના ભાવિનું શું ? આવા સવાલથી ઘેરાયેલા 2000થી વધારે સૈન્ય અધિકારીઓએ પોતાના વ્હાલસોયા બાળકોને એક જહાજમાં બેસાડી દીધા. વિશ્વયુદ્ધ બાદ પોતે જીવતા હશે તો તમને ફરી મળીશું નહિંતર કોઈ સુરક્ષીત ભૂમી પર જઈને જીવી લેવાની હામ આપી ભારે હ્રદયે તેમણે તેમના બાળકોને જહાજમાં રવાના કરી દીધા. આખરે આશરાની શોધમાં નીકળી પડ્યું જહાજ ત્યારે દરેકના મનમાં સવાલ હતા, કે કયા કિનારે મળશે આશરો ?, કઈ ભોમકા પર મળશે સધિયારો ? આ અસમંજસ સાથે દર દર ઠોકરો ખાતા બાળકો એક કિનારેથી બીજા કિનારે આશરો માંગતા રહ્યા. પણ ઈંગ્લેન્ડના ડરથી દરેક ઠેકાણેથી આ બાળકોને મળ્યો બસ જાકારો....
મુંબઈમાં આશરો શોધતું જહાજ
          આશરો શોધતું જહાજ મુંબઈ આવી પહોચ્યું. અહિ પણ તેમને ઈંગ્લેન્ડની ધાક નડી ગઈ. જો કે આશરાની આશ પણ અહિંથી જ મળી. મુંબઈમા સધિયારો આપે તેવો સથવારો તો ન મળ્યો પણ જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહની મદદ મળી રહેવાની દિશા મળી ગઈ. આખરે જામસાહેબ સુધી આશરાનો સંદેશો પહોચ્યો. સાથોસાથ ઈંગ્લેન્ડની ધાકની વાત પણ કરી. આશ્રયની વાત આવે ત્યારે ગુજરાતનું ખમીર પાછીપાની ન કરે. જામસાહેબ દિગ્વિજયસિંહજીએ અંગ્રેજો સામે છપ્પનની છાતી રાખી નોંધારા બાળકોની જવાબદારી સ્વીકારી. એટલું જ નહી પોલેન્ડથી આવેલા સૈન્ય અધિકારીઓના બાળકોથી ઈંગ્લેન્ડને કોઈ નુકસાન નહિ પહોંચે તેની બાહેંધરી આપી. સાથોસાથ તમામે તમામ બાળકોના રખરખાવ અને તાલીમની વ્યવસ્થા પણ ગોઠવી આપી.
બાલાચડી સૈનિક સ્કૂલ, જામનગર
               જામનગરમાં બાલચડીની સ્થાપના થઈ અને તમામ બાળકોને સૈન્ય તાલીમ આપવાની શરૂઆત થઈ. પાંચ વર્ષ સુધી બાળકોને માતાપિતાની હુંફ તો આપી જ સાથોસાથ તેમને ક્યારેય વ્હાલપની  ઉણપ આવવા ના દીધી. આટલી વાત કહેતા કહેતા તો નિર્મળસિંહની વૃદ્ધ આંખો છલકાઈ ઊઠે છે. નિર્મળસિંહ એ સમયે બાળકોની સારસંભાળ ને દેખરેખ રાખતા. આજે પણ તેઓ એ બાળકોની તાલીમ  અને નિભાવના સંસ્મરણો વાગોળી રહ્યા છે. એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ બાળકોને જે ખુશીઓ મળી હતી તે  તેમના માટે તો જીવનભરનું સંભારણું બની રહી.
પાંચ વર્ષમાં બાલાચડીમાં બાળકોને મળેલી ખુશીઓ
            બીજા વિશ્વયુદ્ધ બાદ આ બાળકોને પાચ વર્ષ પછી ઘેર પરત થવાનો અવસર આવ્યો તો બાલાચડી છોડવાનો તેમને વસવસો થવા લાગ્યો હતો. આમાંથી જ એક બાળકે તો સ્વીડનના વાઈસ પ્રેસિડેન્ટનું પદ શોભાવ્યું. તો અન્ય બાળકો પણ મોટા મોટા પદ પર આરૂઢ થયા. જ્યારે જ્યારે પણ તેઓ અંહિ આવ્યા ત્યારે ત્યારે અહિંની માટીને માથે ચડાવી નતમસ્તક થયા.

જામદિગ્વિજયસિંહજી સાથે પોલેન્ડના બાળકો
            "બાળકને માં સાચવે તેમ અમને બાલચડીએ સાચવ્યા છે" - આ સંદેશ બાલચડીમાં આશ્રય મેળવનારા બાળકોએ સમગ્ર વિશ્વમાં આપ્યો. જેની પ્રતિકરૂપી તકતી બાલચડીમાં આજે પણ ગુજરાતના આ મહામૂલા આશરાની ભાવનાની યાદ કરાવે છે. એટલું જ નહી પોલેન્ડમાં પણ એવી જ પ્રતિમા ગુજરાતના આશરાની વાત કહી રહી છે. આ તો ગુજરાતનું ખમીર છે. જે દુનિયાએ પણ માન્યું છે. તેથી જ તો સાર્થક છે કે દુનિયામાં સૌથી મોટો આશરો ગુજરાતનો છે.

Monday, May 2, 2011

વિસરાઈ ગઈ વાત, હું ગુજરાત

અંગ્રેજોએ ગુજરાતમાં કર્યો હતો સૌથી મોટો માનવસંહાર ?

જલિયાંવાલ બાગ હત્યાકાંડ
        ગુજરાતના અતિતને યાદ કરો, તો સોનેરી યોદોના શમણાં આંખોમાં ચમકી ઉઠે, ને ત્યારે દરેક ગુજરાતીની છપ્પનની છાતી ગજગજ ફુલે. પણ એવી પણ કેટલીક વસમી યાદો છે કે જેને યાદ કરીએ તો આજે પણ આપણું હ્રદય ધબકારી ચૂકી જાય. આ એવી વાતો છે જે વિસરાઈ ગઈ છે, ઈતિહાસ બનીને ધરબાઈ ગઈ છે. આ વિસરાયેલી વાતોને યાદ કરીશું તો તમને પણ થશે કે, ખરેખર આ ઘટનાઓ ગુજરાતમાં બની હતી?

બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો કહેર
     અંગ્રજોએ કરેલો સૌથી મોટો માનવસંહાર કયો ? તમે કહેશો – જલિયાંવાલા બાગ હત્યાકાંડ. પણ શું તમને ખબર છે જલિયાંવાલા બાગ કરતા પણ મોટો હત્યાકાંડ આપણા ગુજરાતમાં સર્જાયો હતો. એ પણ બબ્બે વાર. આ હત્યાકાંડ એવા હતા કે જેને તમે ગણી શકો, અંગ્રેજોનો સૌથી મોટો નરસંહાર. આપણને યાદ છે  ઈ.સ. 1919ની 13મી એપ્રિલનો ભારતીય ઈતિહાસનો કાળો દિવસ કે જ્યારે અમૃતસરની ધરતી રક્તરંજીત થઈ હતી. અમૃતસરવાસીઓ પર એ દિવસ કહેર બનીને ત્રાટક્યો હતો. બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરની 50 સૈનિકોની ટુકડી જલિયાંવાલા બાગ પહોંચી. જ્યાં બૈસાખીના ઉત્સવ ઉજવવા ભેગા થયેલા 5000 હજાર નિર્દોષો પર તેમણે બેફામ ગોળીબાર કર્યો અને 1000થી પણ વધારે નિર્દોષોના જીવ લીધા. જો કે અંગ્રેજોએ તો મૃત્યુઆંક દર્શાવ્યો માત્ર 379. 
           ઈતિહાસની આ ઘટના વિશે આપણને ખબર છે. પણ ગુજરાતમાં તો આવા બબ્બે હત્યાકાંડ થઈ ગયા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ પહેલા ઈ.સ. 1913ની 17મી નવેમ્બરે પંચમહાલના માનગઢમાં અને જલિયાંવાલા બાગ હત્યાકાંડના ત્રણ વર્ષ પછી ઈ.સ. 1922ની 7મી માર્ચે સાબરકાંઠાના દ્ઢવાવમાં. જો કે ગુજરાતમાં સર્જાયેલા અને અંગ્રેજો દ્વારા સર્જાયેલા આ લોહિયાળ હત્યાકાંડને આપણે વિસરી ગયા છીએ. આપણે ભૂલી ગયા છીએ ગુજરાતના શહિદોની યાદ.

અંગ્રેજોનો સૌથી મોટો માનવસંહાર : ગુજરાતનો માનગઢ હત્યાકાંડ 


        પંચમહાલના માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ, ખીણોની ભીતરમાં, કાળમીંઢ પત્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઈતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકશો. પ્રકૃતિપૂજકોની હ્રદયદ્વાવક ચીસો અને કિકીયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં પડઘાતું લાગે. જો કે માનગઢની ટેકરીઓ પર લોહીથી તરબતર થનારું એ પ્રકરણ તો લોહીભીનું જ સંકલાઈ ગયું હતું. ઈ.સ. 1913ની 17મી નવેમ્બર અને કારતક સુદ પુનમની તિથીએ પંચમહાલની માનગઢની ટેકરી પર આનંદ હતો. ભીલરાજ માટેની ભગત ચળવળને લઈને ભીલોમાં ઉમંગ હતો. ધાર્મિક પ્રચારકમાંથી રાજકીય નેતા બની ઊભરેલા ગુરુ ગોવિંદગરની હાકલ હતી એટલે ભીલોના સમૂહ માનગઢની ટેકરીઓ તરફ આગળ વધી રહ્યા હતા. તેમના હાથમાં ભગત સંપ્રદાયનો ઝંડો હતો. ધાર્મિક મેળાના પ્રતિભાવરૂપે ઘી, નારીયેળ અને એક આનો રોકડો લઈને ભીલોના સમૂહ આગળ વધી રહ્યો હતા. ભીલરાજના સ્વપ્ન સાથે જનજાગરણ માટે ઉમટેલા હજારો ભીલોનો સમૂહ મનમાં મલકાતો હતો કારણ કે, આજે તો તેઓ ભગત ચળવળ માટે એકતા અને સંગઠન કાજે ધાર્મિક મેળામાં શાંતિથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. 
માનગઢ ટેકરી પર અંગ્રેજોનો કહેર
          બીજી તરફ, અંગ્રેજ કેપ્ટન જે. પી. સ્ટોકલ, મિ. સી. ડબલ્યુ, એમ. હડસન અને લશ્કરી અફસરોના પગલાની આહટ માનગઢની ટેકરીને ઘેરી રહી હતી. ભગત ચળવળને ભોં ભેંગી કરવા માટે અંગ્રેજોએ માનગઢની ટેકરી પર ભીલોના સમૂહ પર અંધાધૂંધ ગોળીએ વરસાવી. ચીસો અને ચિત્કાર વચ્ચે 1506 ભીલોના ઢીમ ઢાળી દીધા. જલિયાંવાલા બાગ પહેલા જ ગુજરાતની ધરાને આ ઘટનાએ રક્તરંજિત કરી દીધી.  

    ગુરુ ગોવિંદગર કે જેઓ ભીલોના ઉદ્ધાર માટે ભગત સંપ્રદાય સ્થાપ્યો હતો અને ભીલોને વ્યસનમુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપતા હતા. તેમનામાં સદાચારના ગુણો રોપી રહ્યા હતા. જેથી ભીલોએ દારૂ પીવાનું છોડવા લાગ્યું. તેમના અધિકારો માટે લડવા અંગ્રજો સામે પણ તૈયાર થવા લાગ્યા. જેના કારણે રજવાડાઓ અને શાહુકારોએ ગુરુ ગોવિંદગરની ભગત ચળવળને ડામી દેવા મન મેલું કર્યું. માનગઢની ટેકરી પર લોહી વહેડાવ્યા બાદ ગુરુ ગોવિંદગર અને તેમના સાથીઓને કેદ કરાયા ને સજા પણ કરાઈ. એટલું જ નહી ભીલોની શહાદતના લોહીભીના પ્રકરણને માનગઢની ટેકરી પર જ ધરબી દેવાયું. સમકાલીન નેતાઓનું નેતૃત્વ અને પીઠબળ પણ આ કમનસીબોને નસીબ ન થયું. તેથી ભીલરાજની ભગત ચળવળ ન તો દેશભણી બની, ન તો ઈતિહાસના પન્નાઓમાં અંકિત થઈ. 

માનગઢમાં થયો માનવસંહાર
    હાલ તો નવ દશકાથી પણ વધું સમય થઈ ગયો છે. માનગઢની ટેકરી પર ગુરુ ગોવિંદગરની યાદમાં ભીલોએ મંદિર બનાવ્યું છે. જ્યાં દર વર્ષે કારતક સુદ પુનમે મેળો ભરાય છે ત્યારે અહિના પ્રકૃતિપૂજકો શહીદોની શહાદતને વાગોળે છે. ગુરુ ગોવિંદગરની ભગત ચળવળની વિસરાય ગયેલી વસમી યાદો પ્રકૃતિપૂજકોની દંતકથાઓમાં, તેમના ધાર્મિક સાહિત્યોમાં અને માનગઢની વેરાન ટેકરીઓમાં સચવાઈ છે.

       અંગ્રેજોનો સૌથી મોટો અન્યાય : ગુજરાતનો દ્ઢવાવ હત્યાકાંડ
દ્ઢવાવના આદિવાસીઓ પર અત્યાચાર
          માનગઢ અને જલિયાંવાલ બાગ હત્યાકાંડ બાદ વધુ એક વાત વિસરાઈ ગઈ છે. જલિયાંવાલા બાગ હત્યાંકાડના માત્ર ત્રણ વર્ષ બાદ ઈ.સ. 1922માં પણ આવી જ બીજી ઘટના ઘટી સાબરકાંઠાના દ્ઢવાવમાં. દ્ઢવાવમાં પણ જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ સર્જાયો. જેમાં નિ:હત્થા અને નિર્દોષ આદિવાસીઓને ફરી નિશાન બનાવાયા. બ્રિટિશ શાસન વખતે ભારતીયો જ્ઞાતિ, ધર્મ અને સમાજના વાડા તોડીને આઝાદીની જંગમાં ઝંપલાવી રહ્યા હતા. જેમાં વનવગડામાં વસનારા દ્ઢવાવના ભીલવા આદિવાસીઓ પણ બાકાત નહોતા. નિરક્ષર આદિવાસીઓને આઝાદી માટે હામ ભીડવા માટે પ્રેરણા આપી રહ્યા હતા ભીલોના ગાંધી તરીકે જાણીતા મોતીલાલ તેજાવત. ઈ.સ.1922ની 7મી માર્ચે દ્ઢવાવના હરમાતાના કાંઠે એક સભા યોજાઈ. મોતીલાલ તેજાવતની આગેવાનીમાં ભીલવા આદિવાસીઓ ભેગા થયા હતા. આ સભાની જાણ થતાની સાથે જ બ્રિટિશ અર્ધલશ્કરી દળના અંગ્રેજ અમલદાર એચ. જી. સટ્ટે અહિં લશ્કર ખડકીને નિર્દોષ આદિવાસીઓ પર બેફામ ગોળીબાર કર્યો. 1200થી પણ વધારે આદિવાસીઓના પ્રાણ પંખેરું ઉડી ગયા. 
દ્ઢવાવના આદિવાસીઓ પર બેફામ વરસતી  ગોળીઓ
 આ ઘટના અંગે સંશોધન કરનારા પ્રૉ. અરુણ વાઘેલાના મતે, આ ઘટનામાં બારસોથી પણ વધારે લોકોના મોત થયા હતા. સ્થાનિકોના સાથેના તેમના સંવાદોમાં તેમને ખ્યાલ આવ્યો કે જેમ જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં લોકો જીવ બચાવવા કુવામાં કુદી ગયા હતા, તેમ અહિં પણ આદિવાસીઓ અહિની વાવમાં કુદી પડ્યા. પણ બ્રિટિશરોએ તેમને વાવમાં પણ વિંધિ નાખ્યા એટલું જ નહિ, બચવા માટે આમતેમ નાસી રહેલા આદિવાસીઓ પર ગોળીઓની બેફામ વર્ષા કરી. એટલે સુધી કે જીવ બચાવવા ઝાડ પર ચડી ગયેલા લોકોને પણ વિંધી નાખ્યા. અહિ આવેલા આંબાના ઝાડને વર્ષો બાદ કાપતી વખતે તેમાંથી પણ ગોળીઓ મળી આવી છે. એટલું જ નહિ 1980માં જ્યારે અહિની વાવમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે પણ તેમાંથી અનેક માનવઅસ્મી મળી આવ્યા હતા. જે સાક્ષી પુરે છે નવ દશકા પહેલા થયેલા લોહિયાળ અત્યાચારની. 
દ્ઢવાવ શહીદ સ્મારક
આ ઘટનાનો ઉલ્લેખ ઈતિહાસના પન્નાઓમાં તો નથી થઈ શક્યો પણ હા એ સમયે અ વિસ્તારમાં રહેતા અને ત્યારબાદ લંડન જઈ વસેલા એક પાદરીની રોજનીશીમાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. બાકી હાલ તો બળીયાઓના પાળીયા પૂજાય તેમ રાજકીય નેતાઓએ બે અલગ અલગ શહીદ સ્મારકો બનાવ્યા છે. 1200 વૃક્ષો વાવીને 'શહીદવન' ઊભું કરાયું છે જે જાળવણીના અભાવે હાલ 'વેરાનવન' બની ગયું છે. 

દ્ઢવાવ શહીદ સ્મારક
    વાસ્તવમાં જે સલામીના હકદાર હતા તેઓ સદેહે જ દ્ઢવાવમાં દફન થઈ ગયા. સાથોસાથ મોતીલાલ તેજાવત અને ભીલવા શહીદોની શહીદગાથા પણ હાલ ગણ્યાગાંઠ્યા સ્થાનિકોની જ જૂબાને છે. માનગઢ હોય કે દઢવાવ, આ બન્ને જલિયાંવાલા બાગ કરતા પણ મોટાં હત્યાકાંડ હતા. પરંતુ ઉજળીયાત નહિ ભીલવા આદિવાસી પર થયેલા અત્યાચારને પીઠબળ આપવામાં સમકાલીન રાષ્ટ્રીય નેતાઓએ પણ રસ દાખવ્યો નહી. તેથી જ તો ગુજરાતની ધરા પરના આ લોહીભીના પ્રકરણ સૌ કોઈ વીસરી ગયા. આ ઘટનાને નવ દશકા કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. લોકો જલિયાંવાલ બાગ હત્યાકાંડને યાદ કરે છે ને અંગ્રજોને ધિક્કારે છે. પણ શાહુકારો અને ધનાઢય લોકોએ પોતાના હીત સાચવવા માટે અંગ્રેજો સાથે મળીને પ્રકૃતિપૂજકો પર જે અત્યાચાર કર્યો તે કોઈ યાદ કરતું નથી. ગુજરાતના શહીદોની આ શહાદતને કોઈ યાદ કરતું નથી. આ વાતો વિસરાઈ ગઈ છે.
       

Tuesday, March 22, 2011

રોકડું તો પરખાવ્યું, પણ પારખાં ક્યારે કરશો ?



વિકિલીક્સે ઘટસ્ફોટ કર્યો કે, 2006માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના કોન્સેલ જનરલ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં 2002ના કોમી રમખાણો અંગે ગુજરાત સરકારનો દ્રષ્ટિકોણ જાણવા અને માનવઅધિકારના હનનને લઈને પૃછા કરાઈ. પણ નરેન્દ્ર મોદીએ તો આ મુદ્દે એમેરિકાને રોકડું જ પરખાવી દીધું હોવાનો ઘટસ્ફોટ વિકિલીક્સે કર્યો છે.
મોદીએ ત્રણ સણસણતાં ચાબખાં માર્યાં.
  • પહેલો ચાબખો : 2002ની ઘટનાઓ એ તો ગુજરાતની આંતરીક બાબત છે તેમાં અમેરિકાને હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોણે આપ્યો ?
  • બીજો ચાબખો : માનવ અધિકારના હનન મામલે સૌથી મોટું અપરાધી તો અમેરિકા પોતે જ છે. તો પછી અમેરિકા શા માટે જગત જમાદાર બનીને માનવ અધિકાર હનનની વાત કરે છે ? શું અમેરિકા અબુ ઘરીબ, ગ્વાન્ટનામો અને 9/11ની ઘટના બાદ શીખો પરના હુમલા જેવી ઘટનાઓ ભૂલી ગયું ?
  • ત્રીજો ચાબખો : અન્ય રાજ્યોની તુલનાએ તો ગુજરાતના મુસ્લિમો ઘણી જ સારી અને સુરક્ષિત સ્થિતિમાં છે. તો ધાર્મિક સ્વતંત્રતાના નામે અમેરિકાની ખોટી ચિંતા શા માટે ?
જો કે નવાઈ વાત તો એ છે કે, આ તમામ વાતો બાદ કોન્સેલ જનરલે

અમેરિકાને અભિપ્રાય આપ્યો કે,
અમેરિકા નરેન્દ્ર મોદી પ્રત્યે કુણું વલણ અપનાવે.
કારણ કે,

  • નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં જવા માટેના સક્ષમ નેતા છે.
  • ગુજરાતનો વિકાસ કરનારા સીએમ છે.
  • 'અન-કરપ્ટ' નેતા છે.

માટે જ અમેરિકા ગુજરાતના સીએમ પ્રત્યે નરમાશ દાખવે.
આ તમામ ખુલાસા હાલ તો વિકિલીક્સે કર્યા.
પણ
નરેન્દ્ર મોદીએ તો આ મામલે પણ ચોખ્ખું ને ચણક સુણાવી
દીધું કે,
ભારતની આંતરિક બાબતોમાં અમેરિકા દખલગીરી ના કરે,
ના તો કોઈ સલાહ આપે.

વિકિલીક્સે ખુલાસો કર્યો એ પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે,
અમેરિકા પોતાના ફાયદા માટે ગમે ત્યારે પલટી મારી પણ શકે છે.
ગમે ત્યારે પલટવાર પણ કરી શકે છે.

ચાલો, વિકિલીક્સના ખુલાસાને પણ ભૂલી જઈએ અને
નરેન્દ્ર મોદીના અમેરિકાને રોકડું પરખાવવાની વાત પણ
બાજુ પર રાખી દઇએ,....
પણ શું કેટલાક સવાલ તમારા મનમા નથી ઉઠતા.
જેમ કે,

  • શું ખરેખર ભારતની આંતરિક બાબતોમાં અમેરિકાની દખલગીરી વધી રહી છે ?
  • શું અમેરિકા માનવઅધિકાર હનન અંગે દુનિયાને કહેવાની નૈતિકતા ધરાવે છે ?
  • શું ભારત સરકારે આ મામલે ચૂપ રહેવું જોઈએ ?
આ સવાલોના જવાબ આપણે જ શોધીશું કે પછી, હજું પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સવાલ-જવાબના સાક્ષી જ બનતા રહીશું ?
ફકત રોકડું પરખાવતાં રહીશું તો તેમના પારખાં ક્યારે કરીશું ?

આખરે કોણ કરશે પારખાં ?
સરકાર ! પ્રજા ! કે પછી પડોશી !

Saturday, March 12, 2011

સઘળી જવાબદારી તો સ્વીકારી, પણ સજા કયારે સ્વીકારશો ?




લોકસભામાં વડાપ્રધાન મનમોહન સિંહ ઊભા થાય છે અને થોમસ મુદ્દે સુપ્રીમે લગાવેલી ફટકાર અંગે કહે છે કે, 'હું સુપ્રીમના આદેશને સ્વીકારું છું.'
મનમોહન સિંહ પાછા બેસી જાય છે.
પણ વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ તુરંત ઊભા થઈને વડાપ્રધાને જમ્મુમાં બોલેલી વાત યાદ કરાવી દે છે. વેધક પ્રશ્ન સાથે પુછે છે કે, ' થોમસની નિયુક્તી અંગે તમે જમ્મુમાં જવાબદારી સ્વીકારી જ ચૂક્યા છો તો હાલ લોકસભામાં કેમ જવાબદારી સ્વીકારવાથી બચી રહ્યા છો?'
આખરે વડાપ્રધાન મનમોહન સિહ ફરી ઊભા થયા અને કહ્યું કે, 'હા ખચકાટ સાથે, પણ હું જવાબદારી સ્વીકારું છું.'

તમામ સમાચાર માધ્યોમામાં વહેતું થઈ ગયું કે,
થોમસની નિયુક્તી અંગે સુપ્રીમની ફટકાર બાદ આખરે વડાપ્રધાને પોતાની સઘળી જવાબદારી સ્વીકારી અને વધુમાં કહીએ તો પોતાની ભૂલ સ્વીકારી.
પણ પ્રશ્ન તો એ છે કે,
'થોમસની નિયુક્તીની સઘળી જવાબદારી તો સ્વીકારી, પણ મનમોહનજી પ્રજાની સજા ક્યારે સ્વીકારશો ? '


સુપ્રીમની ફટકાર બાદ મનમોહન સિંહને ખચકાટ થઈ રહ્યો છે. પણ થોમસની નિયુક્તી અંગે વારંવાર વિરોધ થયો ત્યારે તેમને ખચકાટ કેમ ન થયો ? વાસ્તવમાં થોમસ મુદ્દે હવે વડાપ્રધાન પાસે જવાબદારી સ્વીકારવા સીવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો.

વડાપ્રધાન મનમોહન સિંહ ગઠબંધનની રાજનીતિની મજબૂરી પણ આગળ ધરી રહ્યા છે. આ વાત એ. રાજાના કિસ્સામાં કદાચ સાચી પણ માની લઈએ પણ થોમસની નિયુક્તીને લઈને વડાપ્રધાનને કઈ મજબૂરી નડી હતી?
જો કે ગઠબંધનની મજબૂરીના મામલે ફરી પ્રજા સમક્ષ જવાનો વિકલ્પ પણ વડાપ્રધાન અજમાવી જ શકે છે ને !

થોમંસને લઈને વડાપ્રધાન જવાબદારી સ્વીકારીને કોની સહાનુભૂતી મેળવવા માંગે છે ? શું પ્રજાની સહાનુભૂતી મેળવશો ? ખરેખર તો મનમોહન સિંહ મજબૂરીનું બહાનું બતાવી છટકવાનો પ્રયાસ જ કરી રહ્યા છે. કારણ કે હાલ તેઓ પાંચ વર્ષ પુરા કરવાનું શાણપણ દાખવી રહ્યા છે, ત્યારે શું એવું માનીએ કે, આ શાણપણમાં પણ વડાપ્રધાનની કોઈ મજબૂરી છે ?


બીનઅનુભવીનું બહાનું પણ હવે મનમોહન સિંહ માટે નહી ચાલી શકે, કારણ કે હાલ તેઓ બે મુદ્દતથી વડાપ્રધાનના સન્માનિય પદ પર છે. વળી થોમસની નિયુક્તી વખતે ગૃહપ્રધાન અને અન્ય નેતાઓની વહીવટી કુશળતાનો તેમને સાથ મળ્યો જ છે. તો પછી થોમસની નિયુક્તી અંગે શું એવું માનવું પડશે કે, મનમોહનની સાફ છબીની આ઼ડમાં તેઓ રબર સ્ટેમ્પ વડાપ્રધાનની ભૂમીકામાં છે ?

વિપક્ષ ઘેરી વળ્યા તો વડાપ્રધાન મનમોહન સિંહ થોડા ગરજ્યા પણ ખરા કે, મને જેટલો ચિતરવામાં આવ્યો તેટલો હું ગુનેગાર નથી. એટલે જાજા નહી પણ થોડાં તો ગુનેગાર હોવાનો આડકતરો સ્વીકાર તો તેઓ કરી જ રહ્યા છે ને !


થોમસની નિયુક્તીના એક મામલે ખચકાટ સાથે વડાપ્રધાને જવાબદારી સ્વીકારી છે. પણ આદર્શ સોસાયટી કૌભાંડ, લલીત મોદી, કલમાડી, એ. રાજા અને હસનઅલી મામલે પણ મનમોહનજી કયારે જવાબદારી સ્વીકારશે ?

હાલ તો સુપ્રીમની ટીકાઓનો સામનો કરવામાં પણ ઈતિહાસ રચનારી સરકારની બેજવાદારી અંગેની જવાબદારી વડાપ્રધાન સ્વીકારશે ?


પ્રમાણીકતા અને સજ્જનતાને લઈને મજબૂત લાગતા વડાપ્રધાન થોમસની નિયુક્તીને લઈને મજબૂર બનીને કહી રહ્યા છે કે ભૂલ થઈ ગઈ. પણ જે દિવસે પ્રજાને તમને ચૂંટીને ભૂલ થઈ હોવાનો અહેસાસ થશે ત્યારે શું કરશો ?

શું થોમસ મુદ્દે જેમ સઘળી જવાબદારી સ્વીકારી, તેમ પ્રજાની સજા પણ સ્વીકારશો ?




Wednesday, February 23, 2011

યોગાસનમાં સિંહાસન !!!


રામદેવ બાબાના બદલાયા છે યોગ.
જાણે કે શરૂ થયો છે વિવાદયોગ.
યોગાસનને બદલે રાજકીય સિંહાસન પર આરૂઢ થવાના જાણે જાગ્યા છે અભરખા.
વારંવાર ભ્રષ્ટાચારના મામલે નિવેદનો કરીને કરતા રહ્યા કોંગ્રેસના ઊંચા શ્વાસ.
પણ
રામદેવ બાબાની સંપત્તિને લઈને જ્યારે દિગ્વિજયસિંહે બદલી ભાવમુદ્રા.
તો
એકશ્વાસે બોલ્યા રામદેવ : 'કોંગ્રેસના નેતાઓની સંપત્તિની તપાસ કરાવો પહેલા.'
'નેતા અને સંતની સંપત્તિની તપાસ માટે એક જ કાનુન' - હજુ તો કોંગ્રેસે કરી વાત.
તો,
'બાબા પર હુમલો તમને પડશે ભારે' એવી ભાજપે વરસાવી ગાજ.
લ્યો તારે...
શરૂ થઈ ગઈ સંત અને બોલવામાં શૂરા નેતાઓની તૂં તૂં મેં મેં.

બાબા રે બાબા !!!

પણ કોણ દેશે આ સવાલોના જવાબ : ??????????????????????????????????
  • કંચન અને કામિનીથી દુર રહેતા સંત પાસે વળી માંગવો પડે હિસાબ ?
  • અધધધ 1100 કરોડથી પણ વધારે સંપત્તિ શા માટે છે બેહિસાબ ?
  • 'સંપત્તિ તો ટ્ર્સ્ટની છે' પણ સંત, શું ટ્ર્સ્ટથી રહી શકશે અળગા ?
  • વધુ સંપત્તિ હોય તેને જ સ્વીસ એકાઉન્ટની જરૂર પડે ને ! ભલેને ઉછળતા શ્વાસ, પણ આપી શકશો જવાબ ?
  • સંતના મુખે યોગાસનને બદલે સિંહાસનનું વાકયુદ્ધ શા માટે ?
  • એક પક્ષના પ્રવક્તા કે બીજા પક્ષ પર વરસતા શું એને જ કહેવાય સંત?
બાબા રે બાબા !!!

યોગાસનના ગુરુ કે સિંહાસનના ગુરુ !!!

શું તમારા મનમાં નથી ઉઠતા આ સવાલ ?

Wednesday, February 16, 2011

વિચારો દ્વારા આપના સુધી,

મારા વિચારોનો આસ્વાદ,
હવે આપના સુધી.