Tuesday, March 22, 2011

રોકડું તો પરખાવ્યું, પણ પારખાં ક્યારે કરશો ?



વિકિલીક્સે ઘટસ્ફોટ કર્યો કે, 2006માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના કોન્સેલ જનરલ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં 2002ના કોમી રમખાણો અંગે ગુજરાત સરકારનો દ્રષ્ટિકોણ જાણવા અને માનવઅધિકારના હનનને લઈને પૃછા કરાઈ. પણ નરેન્દ્ર મોદીએ તો આ મુદ્દે એમેરિકાને રોકડું જ પરખાવી દીધું હોવાનો ઘટસ્ફોટ વિકિલીક્સે કર્યો છે.
મોદીએ ત્રણ સણસણતાં ચાબખાં માર્યાં.
  • પહેલો ચાબખો : 2002ની ઘટનાઓ એ તો ગુજરાતની આંતરીક બાબત છે તેમાં અમેરિકાને હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોણે આપ્યો ?
  • બીજો ચાબખો : માનવ અધિકારના હનન મામલે સૌથી મોટું અપરાધી તો અમેરિકા પોતે જ છે. તો પછી અમેરિકા શા માટે જગત જમાદાર બનીને માનવ અધિકાર હનનની વાત કરે છે ? શું અમેરિકા અબુ ઘરીબ, ગ્વાન્ટનામો અને 9/11ની ઘટના બાદ શીખો પરના હુમલા જેવી ઘટનાઓ ભૂલી ગયું ?
  • ત્રીજો ચાબખો : અન્ય રાજ્યોની તુલનાએ તો ગુજરાતના મુસ્લિમો ઘણી જ સારી અને સુરક્ષિત સ્થિતિમાં છે. તો ધાર્મિક સ્વતંત્રતાના નામે અમેરિકાની ખોટી ચિંતા શા માટે ?
જો કે નવાઈ વાત તો એ છે કે, આ તમામ વાતો બાદ કોન્સેલ જનરલે

અમેરિકાને અભિપ્રાય આપ્યો કે,
અમેરિકા નરેન્દ્ર મોદી પ્રત્યે કુણું વલણ અપનાવે.
કારણ કે,

  • નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં જવા માટેના સક્ષમ નેતા છે.
  • ગુજરાતનો વિકાસ કરનારા સીએમ છે.
  • 'અન-કરપ્ટ' નેતા છે.

માટે જ અમેરિકા ગુજરાતના સીએમ પ્રત્યે નરમાશ દાખવે.
આ તમામ ખુલાસા હાલ તો વિકિલીક્સે કર્યા.
પણ
નરેન્દ્ર મોદીએ તો આ મામલે પણ ચોખ્ખું ને ચણક સુણાવી
દીધું કે,
ભારતની આંતરિક બાબતોમાં અમેરિકા દખલગીરી ના કરે,
ના તો કોઈ સલાહ આપે.

વિકિલીક્સે ખુલાસો કર્યો એ પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે,
અમેરિકા પોતાના ફાયદા માટે ગમે ત્યારે પલટી મારી પણ શકે છે.
ગમે ત્યારે પલટવાર પણ કરી શકે છે.

ચાલો, વિકિલીક્સના ખુલાસાને પણ ભૂલી જઈએ અને
નરેન્દ્ર મોદીના અમેરિકાને રોકડું પરખાવવાની વાત પણ
બાજુ પર રાખી દઇએ,....
પણ શું કેટલાક સવાલ તમારા મનમા નથી ઉઠતા.
જેમ કે,

  • શું ખરેખર ભારતની આંતરિક બાબતોમાં અમેરિકાની દખલગીરી વધી રહી છે ?
  • શું અમેરિકા માનવઅધિકાર હનન અંગે દુનિયાને કહેવાની નૈતિકતા ધરાવે છે ?
  • શું ભારત સરકારે આ મામલે ચૂપ રહેવું જોઈએ ?
આ સવાલોના જવાબ આપણે જ શોધીશું કે પછી, હજું પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સવાલ-જવાબના સાક્ષી જ બનતા રહીશું ?
ફકત રોકડું પરખાવતાં રહીશું તો તેમના પારખાં ક્યારે કરીશું ?

આખરે કોણ કરશે પારખાં ?
સરકાર ! પ્રજા ! કે પછી પડોશી !

Saturday, March 12, 2011

સઘળી જવાબદારી તો સ્વીકારી, પણ સજા કયારે સ્વીકારશો ?




લોકસભામાં વડાપ્રધાન મનમોહન સિંહ ઊભા થાય છે અને થોમસ મુદ્દે સુપ્રીમે લગાવેલી ફટકાર અંગે કહે છે કે, 'હું સુપ્રીમના આદેશને સ્વીકારું છું.'
મનમોહન સિંહ પાછા બેસી જાય છે.
પણ વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ તુરંત ઊભા થઈને વડાપ્રધાને જમ્મુમાં બોલેલી વાત યાદ કરાવી દે છે. વેધક પ્રશ્ન સાથે પુછે છે કે, ' થોમસની નિયુક્તી અંગે તમે જમ્મુમાં જવાબદારી સ્વીકારી જ ચૂક્યા છો તો હાલ લોકસભામાં કેમ જવાબદારી સ્વીકારવાથી બચી રહ્યા છો?'
આખરે વડાપ્રધાન મનમોહન સિહ ફરી ઊભા થયા અને કહ્યું કે, 'હા ખચકાટ સાથે, પણ હું જવાબદારી સ્વીકારું છું.'

તમામ સમાચાર માધ્યોમામાં વહેતું થઈ ગયું કે,
થોમસની નિયુક્તી અંગે સુપ્રીમની ફટકાર બાદ આખરે વડાપ્રધાને પોતાની સઘળી જવાબદારી સ્વીકારી અને વધુમાં કહીએ તો પોતાની ભૂલ સ્વીકારી.
પણ પ્રશ્ન તો એ છે કે,
'થોમસની નિયુક્તીની સઘળી જવાબદારી તો સ્વીકારી, પણ મનમોહનજી પ્રજાની સજા ક્યારે સ્વીકારશો ? '


સુપ્રીમની ફટકાર બાદ મનમોહન સિંહને ખચકાટ થઈ રહ્યો છે. પણ થોમસની નિયુક્તી અંગે વારંવાર વિરોધ થયો ત્યારે તેમને ખચકાટ કેમ ન થયો ? વાસ્તવમાં થોમસ મુદ્દે હવે વડાપ્રધાન પાસે જવાબદારી સ્વીકારવા સીવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો.

વડાપ્રધાન મનમોહન સિંહ ગઠબંધનની રાજનીતિની મજબૂરી પણ આગળ ધરી રહ્યા છે. આ વાત એ. રાજાના કિસ્સામાં કદાચ સાચી પણ માની લઈએ પણ થોમસની નિયુક્તીને લઈને વડાપ્રધાનને કઈ મજબૂરી નડી હતી?
જો કે ગઠબંધનની મજબૂરીના મામલે ફરી પ્રજા સમક્ષ જવાનો વિકલ્પ પણ વડાપ્રધાન અજમાવી જ શકે છે ને !

થોમંસને લઈને વડાપ્રધાન જવાબદારી સ્વીકારીને કોની સહાનુભૂતી મેળવવા માંગે છે ? શું પ્રજાની સહાનુભૂતી મેળવશો ? ખરેખર તો મનમોહન સિંહ મજબૂરીનું બહાનું બતાવી છટકવાનો પ્રયાસ જ કરી રહ્યા છે. કારણ કે હાલ તેઓ પાંચ વર્ષ પુરા કરવાનું શાણપણ દાખવી રહ્યા છે, ત્યારે શું એવું માનીએ કે, આ શાણપણમાં પણ વડાપ્રધાનની કોઈ મજબૂરી છે ?


બીનઅનુભવીનું બહાનું પણ હવે મનમોહન સિંહ માટે નહી ચાલી શકે, કારણ કે હાલ તેઓ બે મુદ્દતથી વડાપ્રધાનના સન્માનિય પદ પર છે. વળી થોમસની નિયુક્તી વખતે ગૃહપ્રધાન અને અન્ય નેતાઓની વહીવટી કુશળતાનો તેમને સાથ મળ્યો જ છે. તો પછી થોમસની નિયુક્તી અંગે શું એવું માનવું પડશે કે, મનમોહનની સાફ છબીની આ઼ડમાં તેઓ રબર સ્ટેમ્પ વડાપ્રધાનની ભૂમીકામાં છે ?

વિપક્ષ ઘેરી વળ્યા તો વડાપ્રધાન મનમોહન સિંહ થોડા ગરજ્યા પણ ખરા કે, મને જેટલો ચિતરવામાં આવ્યો તેટલો હું ગુનેગાર નથી. એટલે જાજા નહી પણ થોડાં તો ગુનેગાર હોવાનો આડકતરો સ્વીકાર તો તેઓ કરી જ રહ્યા છે ને !


થોમસની નિયુક્તીના એક મામલે ખચકાટ સાથે વડાપ્રધાને જવાબદારી સ્વીકારી છે. પણ આદર્શ સોસાયટી કૌભાંડ, લલીત મોદી, કલમાડી, એ. રાજા અને હસનઅલી મામલે પણ મનમોહનજી કયારે જવાબદારી સ્વીકારશે ?

હાલ તો સુપ્રીમની ટીકાઓનો સામનો કરવામાં પણ ઈતિહાસ રચનારી સરકારની બેજવાદારી અંગેની જવાબદારી વડાપ્રધાન સ્વીકારશે ?


પ્રમાણીકતા અને સજ્જનતાને લઈને મજબૂત લાગતા વડાપ્રધાન થોમસની નિયુક્તીને લઈને મજબૂર બનીને કહી રહ્યા છે કે ભૂલ થઈ ગઈ. પણ જે દિવસે પ્રજાને તમને ચૂંટીને ભૂલ થઈ હોવાનો અહેસાસ થશે ત્યારે શું કરશો ?

શું થોમસ મુદ્દે જેમ સઘળી જવાબદારી સ્વીકારી, તેમ પ્રજાની સજા પણ સ્વીકારશો ?