જ્યારે જ્યારે પરિસ્થિતિઓ ઘેરી વળે ત્યારે આ ગંગાકિનારે વહેતા પાણીની જેમ 'આ સમય પણ વહી જશે' તેવી પ્રાર્થના મનને પરમ શાંતિનો અહેસાસ કરાવે છે. ગંગાનો કિનારો હોય અને પ્રાર્થના માટે મન તલસતું હોય ત્યારે સુરેશ દલાલના આ શબ્દો સાર્થક લાગે છે :
" પ્રાર્થના મારા એકાન્તનું જતન કરે છે, રક્ષણ કરે છે. પ્રાર્થના મારા ઈશ્વરનું લાલનપાલન કરે છે. પ્રાર્થના મારા હૃદયની ભક્તિપીઠ છે. પ્રાર્થના પિષ્ટપેષણ કે પીંજણ નથી કરતી. બુદ્ધિની આતશબાજી ફૂટતી હોય એમ પ્રાર્થના દલીલ નથી કરતી કે પ્રાર્થના નથી કરતી કોઈ ઘોંચપરોણા. પ્રાર્થનાના શબ્દો ધરતીમાંથી ફૂલનો દીવો થઈને પ્રગટે છે અને આકાશમાંથી સૂર્યકિરણ થઈને અવતરે છે. પ્રાર્થના એ મારો હિમાલય છે અને મારી અલકનંદા છે. કદીયે ન વીંખાય કે ચૂંથાય એવી મારી પ્રાર્થનાનો માળો તો તારા વૃક્ષમાં બંધાયો છે. ત્યાંથી જ મારા દિવસની ગતિ આરંભાય છે અને પાછો આવું છું ત્યારે જ મારી ગતિને સ્થિતિ મળે છે. પ્રાર્થના મારી શરણાગતિ છે. મને મારી પ્રાર્થના ગમે છે કારણ કે એની સાથે બીજું કોઈ જ નહીં પણ તું સંકળાયો છે. " - સુરેશ દલાલ