Saturday, February 9, 2013

'મૌન'નું કાયમી સરનામું - અપેક્ષારહીત 'મન'

હિન્દુ ધર્મશાસ્ત્ર કહે છે કે, 
           "જીવાત્માને પરમાત્મા સાથે છે સીધો સંબંધ. આસ્થા અને વિશ્વાસનું નામ એટલે પરમેશ્વર, જેના માટે તર્ક-વિતર્કને નથી કોઈ સ્થાન. મૌન થકી ઉદ્ભવે જ્ઞાન અને વૈરાગ્યમાં પણ થાય ચેતનાનો સંચાર, જેનાથી ઈશ્વર સમીપ જ હોવાનો થાય સહજ સાક્ષાત્કાર "

          આ અનુભૂતીથી એટલું ચોકક્સ છે કે, 'બોલે તેના બોર વેચાય' એવાં વિચારોવાળા આજનાં યુગમાં મૌન થકી મનમેળ કેળવી શકાય ! 

મૌની અમાસ એટલે મૌનની આરાધનાનો અવસર. 
બ્રહ્મ અને સૃષ્ટિના તાલમેલને સમજવાનો અવસર. 
એકાંત સાધનાની સાથોસાથ પ્રકૃતિમાં ઈશ્વરીય તત્વને ઓળખવાનો અવસર. 
વાણી અને સાસંરિક ચિંતાઓથી દૂર, મૌન રહીને વિરક્તિને પામવાનો સમય. 
આમ, ઈશ્વરની આરાધનાનો એક અનોખો માર્ગ એટલે મૌન.

મૌન એટલે ન બોલવું, ન વિચારવું. 
                         અવ્યકત, શાંત અને આત્મરત રહેવું એટલે જ મૌન.
મૌની શબ્દ મુનિ પરથી આવ્યો. 
                        જેનો મતલબ થાય 'મૌન વ્રતની સાધના કરનાર સાધક'.
એકાંત, અલ્પાહાર, અપેક્ષારહીત, સંયમ, પ્રાણાયામ અને છેલ્લે..... મૌન.
                        આ છ સાધન થકી જ સંપૂર્ણ બને છે મુનીની સાધના.

મૌન એક દિવસ, એક મહિનો, છ મહિના, એક વર્ષથી માંડીને યથાશક્તિ પાળી શકાય.

વાણી સંબંધથી દૂર રહી વ્યકિત આધ્યાત્મિક ઉપાસનાના પરિસંવાદમાં થઈ જાય લીન...

હિન્દુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે મૌન ...
  •  ભગાવન શ્રીકૃષ્ણ આંગિરસઋષિના આશ્રમમાં 13 વર્ષ મૌન રહ્યા. ત્યારબાદ જ તેમણે મહાભારતમાં સારથી બનીને સંભાળી હતી ધર્મધૂરા. એ મૌન થકી જ પ્રગટ થયું હતું ગીતાજ્ઞાન.
  • વેદવ્યાસની મૌનસમાધિ થકી જ પ્રગટ થયું હતું શ્રીમદ ભાગવત.
  • આદિ શંકરાચાર્યે પણ સંન્યાસિઓના આત્મજ્ઞાન માટે મૌનને સહાયક ગણાવ્યું છે.

આત્માનુશાસનની રીત છે મૌન...
નિરાભિમાનનું સૂચક છે મૌન..
મૌન થકી જ જન્મે સુવિચાર...
મૌન થકી વધે સંકલ્પ બળ...
મૌનથી જ એકાગ્રતા જાગૃત થાય...
મૌનથી જ આત્મનિરીક્ષણ શરૂ થાય... 

મૌન જેવી મીઠાશ વાણીમાં પણ જણાતી નથી.
વાદ-વિવાદથી જે ન મળે, તે મૌનથી સહેજે મળે.

ઝઘડામાં પણ મૌન રહેવું મોટી જીત છે.
મૌનનો મર્મ પ્રપંચથી દૂર રહી ભવગત ચિંતન છે. 

અપેક્ષા રહીત 'મન'...  એ જ તો છે - " મૌનનું કાયમી સરનામું "

                                         "મૌન"થી 'મન' સુધી...જયેશ પારકર