અમદાવાદમાં આવેલું 'જીવન સંધ્યા' ઘરડાઘર. જેમાં હીરાલાલ અને તેમના પત્ની કૈલાશબહેને છેલ્લા પાંચ પાંચ વર્ષોથી આશરો લીધો. પોતાના જ પુત્રએ પોતાનું એકનું એક ઘર પણ છીનવી લીધું. પુત્રવધુએ પણ મોં મચકોડી લીધું. માસુમ પૌત્ર અને પૌત્રીનું મુખ જોવા આ દાદા-દાદી માટે દુષ્કર બન્યું. આમને આમ પાંચ વર્ષના વ્હાણા વહી ગયા, તો પણ દિકરાએ પોતાના પાલકની પીડા જાણી નહીં. અરે કયારેય તેમના ખબર અંતર પણ પુછ્યા નહી. આખરે એક દિવસ ન્યૂઝ ચેનલ પર પોતાના પાલક માતા પિતાની વ્યથા સમાજ સામે આવતી જોઈ અને હીરાલાલ અને કૈલાશબહેનનો પુત્ર ઘરડાઘર દોડી આવે છે. પછતાવાના આસું સારે છે. પોતાની ભૂલ માટે માફી માંગે છે. પોતાની સાથે ઘરે આવવા વિનંતી કરે છે. આખરે માતા પિતા દિકરાને માફ કરે છે અને ઘરે આવવાની હા પણ પાડે છે. જો કે, એ સાથે તેઓ એમ પણ કહે છે કે એકાદ અઠવાડીયું આવીએ છીએ પછી જોઈશું કે સાથે રહી શકીએ છીએ કે કેમ....? આ ઘટના તો માધ્યમોમાં આવી ને જતી રહેશે. પણ અહિં સવાલ ચોક્કસ ઉઠે છે કે,.. ..
- પાંચ પાંચ વર્ષ સુધી દિકરાએ તેના પાલક માતા-પિતાની પીડાને જાણવાનો પ્રયત્ન પણ કેમ ન કર્યો ?
- શું ખરેખર હવે દિકરાના આસું પછતાવાના છે કે પછી મગરના આસું છે ?
.......જે હોય તે પણ આજે પણ આ શબ્દો વિસરવા જેવા નથી.....
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.