Wednesday, November 16, 2011

શું તમને યાદ છે આજથી 98 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલો હત્યાકાંડ ?


અંગ્રેજોનો સૌથી મોટો માનવસંહાર : ગુજરાતનો માનગઢ હત્યાકાંડ 


        પંચમહાલના માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ, ખીણોની ભીતરમાં, કાળમીંઢ પત્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઈતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકશો. પ્રકૃતિપૂજકોની હ્રદયદ્વાવક ચીસો અને કિકીયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં પડઘાતું લાગે. જો કે માનગઢની ટેકરીઓ પર લોહીથી તરબતર થનારું એ પ્રકરણ તો લોહીભીનું જ સંકલાઈ ગયું હતું. ઈ.સ. 1913ની 17મી નવેમ્બર અને કારતક સુદ પુનમની તિથીએ પંચમહાલની માનગઢની ટેકરી પર આનંદ હતો. ભીલરાજ માટેની ભગત ચળવળને લઈને ભીલોમાં ઉમંગ હતો. ધાર્મિક પ્રચારકમાંથી રાજકીય નેતા બની ઊભરેલા ગુરુ ગોવિંદગરની હાકલ હતી એટલે ભીલોના સમૂહ માનગઢની ટેકરીઓ તરફ આગળ વધી રહ્યા હતા. તેમના હાથમાં ભગત સંપ્રદાયનો ઝંડો હતો. ધાર્મિક મેળાના પ્રતિભાવરૂપે ઘી, નારીયેળ અને એક આનો રોકડો લઈને ભીલોના સમૂહ આગળ વધી રહ્યો હતા. ભીલરાજના સ્વપ્ન સાથે જનજાગરણ માટે ઉમટેલા હજારો ભીલોનો સમૂહ મનમાં મલકાતો હતો કારણ કે, આજે તો તેઓ ભગત ચળવળ માટે એકતા અને સંગઠન કાજે ધાર્મિક મેળામાં શાંતિથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. 
માનગઢ ટેકરી પર અંગ્રેજોનો કહેર
          બીજી તરફ, અંગ્રેજ કેપ્ટન જે. પી. સ્ટોકલ, મિ. સી. ડબલ્યુ, એમ. હડસન અને લશ્કરી અફસરોના પગલાની આહટ માનગઢની ટેકરીને ઘેરી રહી હતી. ભગત ચળવળને ભોં ભેંગી કરવા માટે અંગ્રેજોએ માનગઢની ટેકરી પર ભીલોના સમૂહ પર અંધાધૂંધ ગોળીએ વરસાવી. ચીસો અને ચિત્કાર વચ્ચે 1506 ભીલોના ઢીમ ઢાળી દીધા. જલિયાંવાલા બાગ પહેલા જ ગુજરાતની ધરાને આ ઘટનાએ રક્તરંજિત કરી દીધી.  

    ગુરુ ગોવિંદગર કે જેઓ ભીલોના ઉદ્ધાર માટે ભગત સંપ્રદાય સ્થાપ્યો હતો અને ભીલોને વ્યસનમુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપતા હતા. તેમનામાં સદાચારના ગુણો રોપી રહ્યા હતા. જેથી ભીલોએ દારૂ પીવાનું છોડવા લાગ્યું. તેમના અધિકારો માટે લડવા અંગ્રજો સામે પણ તૈયાર થવા લાગ્યા. જેના કારણે રજવાડાઓ અને શાહુકારોએ ગુરુ ગોવિંદગરની ભગત ચળવળને ડામી દેવા મન મેલું કર્યું. માનગઢની ટેકરી પર લોહી વહેડાવ્યા બાદ ગુરુ ગોવિંદગર અને તેમના સાથીઓને કેદ કરાયા ને સજા પણ કરાઈ. એટલું જ નહી ભીલોની શહાદતના લોહીભીના પ્રકરણને માનગઢની ટેકરી પર જ ધરબી દેવાયું. સમકાલીન નેતાઓનું નેતૃત્વ અને પીઠબળ પણ આ કમનસીબોને નસીબ ન થયું. તેથી ભીલરાજની ભગત ચળવળ ન તો દેશભણી બની, ન તો ઈતિહાસના પન્નાઓમાં અંકિત થઈ. 

માનગઢમાં થયો માનવસંહાર
    હાલ તો નવ દશકાથી પણ વધું સમય થઈ ગયો છે. માનગઢની ટેકરી પર ગુરુ ગોવિંદગરની યાદમાં ભીલોએ મંદિર બનાવ્યું છે. જ્યાં દર વર્ષે કારતક સુદ પુનમે મેળો ભરાય છે ત્યારે અહિના પ્રકૃતિપૂજકો શહીદોની શહાદતને વાગોળે છે. ગુરુ ગોવિંદગરની ભગત ચળવળની વિસરાય ગયેલી વસમી યાદો પ્રકૃતિપૂજકોની દંતકથાઓમાં, તેમના ધાર્મિક સાહિત્યોમાં અને માનગઢની વેરાન ટેકરીઓમાં સચવાઈ છે.